“તાઉતે” વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે તેમાંથી એક ઉનાનો સમાવેશ થાય છે.અનુસંધાને રાજકોટથી મહાનગરપાલિકાની ટીમ ઉના મોકલવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
“તાઉતે” વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં થયેલી છે તે ગામો પૈકી ઉના ખાતે ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની એક ટીમ સાધન-સામગ્રી અને વાહનો સાથે ઉના મોકલવાનો મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલનો સંયુક્ત ઉમદા નિર્ણય કર્યો છે.
અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા “તાઉતે” વાવાઝોડાએ ઉના શહેરને સારી પેઠે ધમરોળી નાખ્યું છે, આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ૧૦૦ સફાઈ કર્મચારીઓ, ૨ JCB મશીન, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર મશીન, ૨ ઓપરેટર સહિતની બે બસનો કાફલો ઉના મોકલવામાં આવશે.