Ludhiana Court Blast : ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડે 2021માં લુધિયાણા કોર્ટ બ્લાસ્ટની યોજના બનાવી હતી. ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો થયો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા મામલામાં એક પાકિસ્તાની નાગરિક સહિત પાંચ લોકો વિરુદ્ધ લુધિયાણાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પાકિસ્તાન સ્થિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) ના આતંકવાદી હેન્ડલર લખબીર સિંહ રોડે 23 ડિસેમ્બર, 2021 ના રોજ પંજાબમાં વિવિધ સ્થળોએ IED બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. પાકિસ્તાનના દાણચોરો સાથે સંપર્ક હતો ANIના અહેવાલ મુજબ, લખબીર સિંહે આ યોજનાને અંજામ આપવા માટે પાકિસ્તાન સ્થિત દાણચોરોનો સંપર્ક કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય મહત્તમ લોકોમાં જાનહાનિની સાથે ભય પેદા કરવાનો હતો, જેના માટે તેણે બ્લાસ્ટની યોજના બનાવી હતી. આ કામ કરવા માટે આતંકવાદીઓએ ઓપરેટિવ્સની ભરતી કરી હતી.
લખબીર સિંહ રોડે ( Ludhiana Court Blast) પાકિસ્તાન સ્થિત શસ્ત્રો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોના દાણચોરો ઝુલ્ફીકાર ઉર્ફે પહેલવાન, હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયા, સુરમુખ સિંહ ઉર્ફે સમ્મુ, દિલબાગ સિંહ ઉર્ફે બગ્ગો અને રાજનપ્રીત સિંહની મદદથી આતંકવાદી ગેંગની રચના કરી હતી. રોડે ગગનદીપ સિંહ ઉર્ફે ગગીને IED પહોંચાડવા માટે પાકિસ્તાન સ્થિત દાણચોર ઝુલ્ફીકાર અને તેના સાથીઓની દાણચોરીની ચેનલોનો ઉપયોગ કર્યો હતો. ગગીએ જ કોર્ટમાં વિસ્ફોટકો લગાવ્યા હતા. NIAએ ગગી (મૃત), સમ્મુ, બગ્ગો, રાજનપ્રીત સિંહ અને ઝુલ્ફીકાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે
નોંધનીય છે કે લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, આ બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હરપ્રીત સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ NIA કોર્ટે હરપ્રીત સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ સિવાય લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો હતો.