ભાવનગર,
ભાવનગરમાં એક માતાએ પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ આઘાતજનક બનાવમાં ચાર સંતાનોના મોત થયા છે. જ્યારે માતા અને મોટી દીકરીને ગામ લોકોએ બચાવી લીધા છે.બચી ગયેલ મહિલા ગીતાબહેનનું કહેવું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ હતી અને તેમને સપનામાં પણ ભુત દેખાતુ હતું.
ભાવનગરના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબહેન ભાલિયાએ પોતાના પાંચ બાળકો સાથે સોમવારે પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું.
જો કે ગીતાએ કુવામાં ઝંપલાવતા આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા અને તેમના થતાં એક દીકરીને બચાવ્યા હતા.જો કે બાકીના ચાર સંતાનો મોતને ભેટ્યાં હતા. મહિલા તેમ જ બચી ગયેલી પુત્રીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અન્ય સંતાનોના મૃતદેહને બહાર કાઢવા માટે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
સામુહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ત્રણ બાળકીના મૃતદેહ બહાર કાઢી શકાયા ન હતા.