Gandhinagar News : રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં 02 વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ (03) મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે.
મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં 03 વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી છે.
મંત્રી દેસાઈએ કહ્યું કે દેશમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફત 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ 100 ગીગાવોટ રિન્યૂએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન 02 વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. 1 જાન્યુઆરી, 2024ની અસરથી યુનિટદીઠ 50 પૈસા, જ્યારે તા. 1 ઑક્ટોબર, 2024થી 40 પૈસા એમ 02 વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના 1 કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.
આ ઘટાડાથી વર્ષ 2024 દરમિયાન મોરબી જિલ્લાના 3,02,410 વીજગ્રાહકોને કુલ રૂ. 189.54 કરોડની રાહત આપવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 4,12,193 વીજગ્રાહકોને 21.65 કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્યના બીપીએલ (BPL) કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીએ જણાવ્યું કે અન્ય રહેણાક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ (BPL) કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 15 થી 70 છે, જ્યારે બીપીએલ (BPL) કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 5 છે. આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટદીઠ ચાર્જ રૂ. 2.65, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટના રૂ. 3.05 ની સરખામણીએ બીપીએલ (BPL) કાર્ડધારકો માટે પ્રથમ 50 યુનિટ દીઠ રૂ. 1.50 લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે તેમ તેને ઉમેર્યું હતું.
આ પણ વાંચો: દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા, 1.74 લાખથી વધુ થાંભલા બદલવામાં આવ્યા
આ પણ વાંચો: રાજ્ય સરકાર 80 નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવશે, સૌર ઉર્જા પ્રોજેકેટ કરશે લોન્ચ