રિપોર્ટર મુનીર પઠાણ, ભરૂચ
દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના મહામારી રોકવા દુનિયાભરના નિષ્ણાંતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દેશભરમાં વહીવટી તંત્ર, તબીબી આલમ, પોલીસ તંત્ર, કોરોના મહામારી રોકવા માટે રાત દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. કોરોનાની ફેલાતી સાંકળ તોડવા લોકડાઉન અને કરફ્યુ જેવા જાહેરનામાની અમલવારીમાં લોકો પણ સહયોગ આપી રહ્યા છે.
ધંધા રોજગાર ઉપર અસર થવા છતાં જાન હૈ તો જહાં હૈ ની નીતિ અપનાવી ઘરમાં સમય વિતાવવા તૈયાર થયા છે. ખાસ કરીને પોલીસ, નગરપાલિકા તંત્ર અને દેશની ચોથી જાગીર એવા પત્રકારો પણ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. લોકડાઉન અને કરફ્યુ સમય દરમિયાન ઓટોરિક્ષા ચાલકોને પેસેન્જરો લઈને હેરાફેરી કરતાં કોઇ અગવડ ન ઉભી થાય કે ફરજ પર રહેલા પોલીસકર્મીઓ સાથે ઘર્ષણમાં ઓટોરિક્ષા ચાલકોનો અને પેસેન્જરોનો સમય ન બગડે તે અર્થે જિલ્લા પોલીસ દ્વારા ૭૦ જેટલા ઓટોરિક્ષા ચાલકોને ગતરોજ કરફ્યુ મુક્ત પાસ એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા ૧૦ ઓટોરિક્ષા ચાલકોને પી.પી.ઇ. કીટ એનાયત કરી હતી. શહેરના દર્દીઓને ઘરેથી નિઃશુલ્ક લાવવા લઈ જવા માટે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા આ ૧૦ ઓટોરિક્ષા ફાળવી છે. જેનો લાભ લેવા આમ પ્રજાને અપીલ કરી છે. પાસ એનાયત સમયે ૭૦ જેટલા ઓટોરિક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ, ઉપપ્રમુખ આબીદ મીરજા તેમજ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, ભરૂચ પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર તેમજ સામાજિક કાર્યકર સેજલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.