ગુજરાત માં અમદાવાદ એક એવું શહેર છે જે માં અનેક લોકો બહાર ગામથી આવી ને વસે છે .જેમના લીધે વસ્તી સાથે ઈમારતો વધી રહી છે અને તેની સામે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી જરૂરી નિયમ પણ બનાવવામાં આવ્યા છે. જોકે કેટલાક લોકો તેનું પાલન કરતા નથી હોતા. ત્યારે આ પ્રકારની ઈમારતો અને કેટલીક મોટી દુર્ઘટનાઓને ધ્યાને રાખી હાઇકોર્ટ દ્વારા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે .
જે અંતર્ગત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા 10 દિવસમાં કુલ 2,700 કરતા વધુ ઈમારતોને નોટિસ આપી છે અને ફાયર NOC લેવા તાકીદ કરી છે.ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં વિવિધ શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગ સહિતની ઈમારતોમાં ચકાસણી હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 924 સ્કૂલ, 250 હોસ્પિટલ, 297 હાઈરાઈઝ બિલ્ડીંગ, હાઈરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ 400 અને 836 હાઈરાઈઝ રેસિડેન્સીયલ સાથે કુલ 2,707 ઈમારતોને નોટિસ આપવામાં આવી છે.
જેમાં નોટિસ આપ્યાના નિશ્ચિત સમયમાં નોટિસ મેળવનારે જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે. જો જરૂરી પ્રક્રિયા નહીં કરવામાં આવે તો એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રક્રિયા નહીં કરનાર સામે પોલીસ ફરિયાદ સાથે પાણી, ગટર અને વીજળી કનેક્શન પણ કપાઈ શકે છે.
આ કાર્યવાહી માટે શહેરમાં આવેલા 15 ફાયર સ્ટેશનની ટીમ કામે લગાવી છે. જેમાં એક ફાયર સ્ટેશનની એક ટીમ છે. જેમાં 4 જેટલા સભ્યો કાર્યવાહી કરે છે. એટલું જ નહીં પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કુલ 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 દિવસમાં 2,707 એકમોને નોટિસ અપાઈ છે તો હજુ પણ કાર્યવાહી યથાવત છે.