CBI ને આપવામાં આવતી ‘સામાન્ય મંજુરી’ (જનરલ કન્સેન્ટ) નાં નિર્ણયને આંધ્રપ્રદેશ સરકાર બાદ પશ્ચિમ બંગાળે પણ નકાર્યો છે. જેનાં પગલે CBI આ રાજ્યમાં ત્યારે જ તપાસ કરી શકે છે જયારે કોર્ટનો આદેશ હોય અથવા કેન્દ્ર સરકારનાં અધિકારીઓનો કેસ હોય, બાકીની કોઇપણ તપાસ માટે તેઓને રાજ્ય સરકારની મંજુરી લેવાની રહેશે.
નો એન્ટ્રીનો સિક્કો સૌ પ્રથમ આંધ્રપ્રદેશનાં તેલુગુદેશમ પાર્ટીના મુખ્યા ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવ્યો ત્યારબાદ પશ્ચિમ બંગાળનાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના મમતા બેનર્જીએ નાયડુના નિર્ણયને સમર્થન આપી CBI ની એન્ટ્રી પર રોક લગાવી.
મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘ચંદ્રબાબુ નાયડુએ જે કર્યું છે એ એકદમ યોગ્ય છે. બીજેપી CBI અને બીજી એજન્સીઓને ઉપયોગ પોતાનાં ફાયદા માટે કરે છે.’ વિરોધ પક્ષોએ પણ વિરોધ કરતા જણાવ્યું હતું કે, હવે CBI પર ભરોસો જ રહ્યો નથી. મોદી સરકારે એનો દુરુપયોગ કર્યો છે.
CBI દિલ્લી સ્પેશીયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત કામ કરે છે. ‘જનરલ કન્સેન્ટ’ ની અનુમતી અનુસાર CBI રાજ્ય સરકારની અલગથી મંજુરી લીધા વગર કોઇપણ તપાસ હાથ ધરી શકે છે.