વર્ષ 2017માં રીલિઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’થી ચર્ચામાં આવેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ટૂંક સમયમાં ભારતીય ટીવી સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહી છે. તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી છે કે માહિરા ખાન ભારતીય ટીવી ચેનલ ઝિંદગીના આગામી શો ‘સડકે તુમ્હારે’માં મહત્વની ભૂમિકા ભજવશે.
માહિરા ભારતીય ટેલિવિઝન પર પાછા ફરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. નોંધનીય છે કે વર્ષ 2016માં ઉરી હુમલા બાદ તમામ પાકિસ્તાની કલાકારોને ભારતીય મનોરંજન જગતમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જ ઝિંદગી ટીવી ચેનલે આ વાતની પુષ્ટિ કરી હતી કે મંત્રાલયના આદેશ મુજબ તમામ પાકિસ્તાની સિરિયલો અને કલાકારો ટૂંક સમયમાં આ ચેનલ પર પાછા ફરશે. પરિણામે, હવે ‘સડકે તુમ્હારે’ ઝિંદગી ચેનલ પર શરૂ થવા જઈ રહી છે, જેમાં પાકિસ્તાની અભિનેત્રી માહિર ખાન મુખ્ય ભૂમિકામાં છે.
ભારતીય પડદા પર વાપસી અંગે માહિરાએ કહ્યું છે કે ‘મારા માટે ખૂબ જ નસીબની વાત છે કે મને ભારતીય દર્શકો સામે ફરીથી મારી અભિનય કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો છે.’ આટલું જ નહીં, માહિરા ખાને નવી ટીવી સીરિયલ ‘સડકે તુમ્હારે’ વિશે વાત કરતા કહ્યું છે કે ‘આ ટીવી શોમાં મારું પાત્ર ‘શાનો’નું છે. આ શોમાં ગામડાની એક સાદી છોકરીની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. શાનો આજ સુધીના મારા પ્રિય પાત્રોમાંનું એક છે. આ શો અને તેનું પાત્ર મારા દિલની સૌથી નજીક છે.સડકે તુમ્હારે ટીવી સિરિયલમાં 80ના દાયકાની લવ સ્ટોરી બતાવવામાં આવશે. ઉપરાંત, આ સિરિયલનું ટેલિકાસ્ટ 9 જૂનથી ઝિંદગી ચેનલ પર સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.