તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ – TRS) એ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતાં કરતાં હવે અચાનક જ યુ-ટર્ન માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે, ખેડૂતોને ક્યાંય પણ પોતાનું અનાજ વેચવા દેવાની અનુમતી દેવા માટે રાજ્ય સરકારને અનાજ ખરીદવાની કોઈ જરૂર નથી. કારણ કે, દેશભરમાં નવા કૃષિ કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અગાઉ કેસીઆરએ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ભારત બંધનું સમર્થન કર્યું હતું.
તાજેતરમાં દિલ્હીમાં કેસીઆર – પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક બાદ પાર્ટીનું આ વલણ જોવામાં આવ્યું છે. જ્યારે પાર્ટીએ અગાઉ આ કાયદાની વિરુદ્ધ સંસદમાં મત પણ આપ્યો હતો. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે રવિવારે સાંજે કૃષિ પેદાશોના વેચાણ અને ખરીદીની પ્રક્રિયા અંગે ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, પરંતુ હવે તેને ખુલ્લા બજાર પર છોડી દેવામાં આવી છે.
બેઠક મામલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે સરકાર હવે આ કરી શકે નહીં. કારણ કે તે કોઈ વ્યવસાયિક સંસ્થા અથવા ઉદ્યોગપતિ નથી. સરકાર રાઇસ મિલર કે દાલ મિલર નથી. વેચાણ અને ખરીદી સરકારની જવાબદારી નથી. સરકારે કહ્યું કે, આવતા વર્ષથી ગામમાં પ્રાપ્તિ કેન્દ્ર સ્થાપિત કરવું શક્ય નથી. જો કે કેસીઆર દ્વારા અનાજની યોગ્ય ખરીદી અને વેચાણ માટેની સૂચના આપવામાં આવી છે. તેમણે સૂચન કર્યું છે કે ખેડુતોએ એકવારમાં(એકી સાથે) તેમની આખી પેદાશો બજારોમાં ન લાવવી જોઈએ, જેથી તેઓને સારા ભાવ મળે.
ઉલ્લેખનીય છે કે, તેલંગણામાં ગત સીઝનમાં સરકારે તમામ ગામોમાં ખરીદી કેન્દ્રો સ્થાપવા નિર્દેશ આપ્યો હતો. સરકારે કહ્યું કે તેને ડાંગર, સરસવ, મકાઈ, લાલ ચણા, બેંગલ ગ્રામ અને સૂર્યમુખીની ખરીદીથી 7500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે આ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ચૂકવ્યા હોવા છતાં, તેને બજારમાં ઓછા ભાવે વેચવું પડ્યું હતું, કારણ કે આ પાકની માંગ ન હતી.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ મુખ્યમંત્રી કેસીઆરએ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કાયદાઓ ખેડૂતોના હિતોને નુકસાન કરશે. સપ્ટેમ્બરમાં સંસદમાં કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે પણ, ટીઆરએસ પ્રમુખે તેમના પક્ષના સાંસદોને બીલની વિરુદ્ધ મત આપવા સૂચન કર્યું હતું.
કોંગ્રેસે KCR પર નિશાન સાધ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિસાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એમ. કોડાંડા રેડ્ડીએ પણ કૃષિ કાયદા પર યુ-ટર્ન લેવા બદલ મુખ્ય પ્રધાન કેસીઆર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર એમએસપીમાં કૃષિ પેદાશો ખરીદવાની જવાબદારીથી પાછળ પડી રહી છે. રેડ્ડીએ એમ પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તાજેતરની બેઠક બાદ કેસીઆરએ યુ-ટર્ન લીધો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…