છેલ્લા કેટલાક દિવસોમાં તુવેર અને અડદની દાળના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. વાસ્તવમાં વર્તમાન ખરીફ સિઝનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાને કારણે વાવણી ઘટી છે, જેથી પાકને નુકસાન થયું છે. મહારાષ્ટ્રના લાતુરમાં છ સપ્તાહમાં તુવેર દાળની કિંમત 97 રૂપિયાથી વધીને 115 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ખરીફ પાકની વાવણીના કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, તુવેરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 4.6 ટકા ઓછું છે, જ્યારે અડદનું વાવેતર 2 ટકા ઓછા વિસ્તારમાં થયું છે. ભારે વરસાદ અને જળબંબાકારના કારણે તુવેરની વાવણી ઘટી છે, તો પાકને થયેલા નુકસાનથી ચિંતા વધી છે.જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં અડદના પાકને નુકસાન થયું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જો કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં પાક સારી સ્થિતિમાં છે.
માત્ર તુવેર અને અડદ જ નહીં પરંતુ નબળા ચોમાસાના કારણે ડાંગરની વાવણીમાં ઘટાડો થયો છે. નાણાકીય નીતિની તાજેતરની જાહેરાત દરમિયાન, RBI ગવર્નર શક્તિકાંત દાસે ડાંગરની વાવણીમાં થયેલા ઘટાડાને મોનિટર કરવા પર ભાર મૂક્યો છે. આરબીઆઈ ગવર્નરે તેમના નિવેદનમાં કહ્યું કે ખરીફ પાકમાં ડાંગરની વાવણી ઘટી છે અને તેના પર ખૂબ જ ગંભીર નજર રાખવાની જરૂર છે. હકીકતમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદના અભાવે ડાંગરની વાવણી પ્રભાવિત થઈ છે, જેના કારણે આ વર્ષે ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદના અભાવે ડાંગરની વાવણીમાં ઘટાડો થયો છે.