અમદાવાદમાં લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો અને પુરાવાને ધ્યાને લીધા બાદ આરોપી પ્રણવ બ્રહ્મભટ્ટના રેગ્યુલર જામીન અરજીને મંજુર કર્યા હતા.
કેસની વિગત એવી છે કે , અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં થોડા દિવસો પહેલા કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી નીલમ પટેલએ આરોપી પ્રણવ બ્રહ્મભટ સામે આક્ષેપ કર્યા હતા કે , અમદાવાદ નજીક આવેલા અસલાલી વિસ્તારમાં ખાનગી ફેક્ટરીના વેચાણના નામે આરોપીએ લાખો રૂપિયા ખંખેરી લઈને તેમના સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી આચરી હતી. જે મામલે તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલે આરોપીના વકીલ આદિલ એ. મેમણએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેના ઉપર સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલ ભાવેશ પટેલએ આરોપીને જામીન ન આપવા માટે સખ્ત વિરોધ કર્યો હતો. તો બીજી તરફ આરોપીના વકીલ તરફથી પણ કેસને લાગતા અને આરોપીના બચાવમાં મદદરૂપ બને તેવા તમામ પુરાવા અને દલીલો કોર્ટમાં રજૂ કરાતા સેશન્સ જજ એચ જી વાઘેલાએ તમામ પક્ષને સાંભળ્યા બાદ કેસની પરિસ્થતિને જોતા અને પુરાવાને ધ્યાને લેતા આરોપી પ્રણવ બ્રહ્મભટ્ટના રેગ્યુલર જામીનને મંજુર કરવાનો આદેશ જારી કર્યો હતો.