અમદાવાદ,
કરાઈ પોલીસ એકેડમીના ડીવાયએસપી એન.પી. પટેલના ત્રાસથી આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે મંગળવારે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા.
મારા પતિ તેમની માગણીઓ સામે ન ઝૂકતા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. પોલીસે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યોને બિલકુલ અજાણ રાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે,
જેના કારણે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનોમાં ભારે રોષ ફેલાયો છે. આટલું જ નહીં દેવેન્દ્રસિંહે કરાઈ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ચિઠ્ઠીમાં લખાણ લખ્યું હતું. તો બીજી તરફ DySP એન.પી. પટેલે કહ્યું હતું કે, દેવેન્દ્રસિંહ સામે શિક્ષણાત્મક પગલા લેવાયા હતા, જે પોલીસની ટ્રેનિંગનો એક ભાગ છે. આવી તાલીમ લેતા બીજા કોઇએ આવી ફરિયાદ કરી નથી.