SVP Hospital ICU Negligence : અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધ દર્દી સાથે બેદરકારી (Negligence) નો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. દર્દીના હાથમાં લગાવવામાં આવેલી નળી અચાનક બહાર નીકળી જતા ભારે પ્રમાણમાં લોહી વહી ગયું હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ ICUમાં દાખલ વૃદ્ધના બેડ પર ચાદર અને કપડાં લોહીથી ભીંજાઈ ગયા હતા, પરંતુ હાજર ડોક્ટરો કે નર્સિંગ સ્ટાફે સમયસર ધ્યાન આપ્યું નહોતું. જ્યારે પરિવારના સભ્યો દર્દી પાસે પહોંચ્યા ત્યારે લોહી વહી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું અને ત્યારબાદ સ્ટાફને જાણ કરવામાં આવી હતી.
પરિવારજનોએ પોલીસમાં અરજી આપી
દર્દીના સગાઓએ હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપી છે. તેમણે માંગ કરી છે કે આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દર્દીના જીવને જોખમ ન થાય.

હોસ્પિટલ (Hospital) સંચાલનનું સ્પષ્ટીકરણ
આ મામલે SVP હોસ્પિટલના CEO સૌરભ પટેલે જણાવ્યું હતું કે દર્દીની હાલત ગંભીર છે અને તેમને શ્વાસની તકલીફ હોવાથી ICUમાં રાખવામાં આવ્યા છે. દર્દી ઘણી વખત મોઢાનું માસ્ક કાઢવાનો અને હાથમાં લગાવેલી નળી કાઢવાનો પ્રયાસ કરતા હતા, જેના કારણે નળી બહાર નીકળી ગઈ અને લોહી વહી ગયું હતું.
તેમણે વધુમાં કહ્યું કે સ્ટાફ દ્વારા કોઈ બેદરકારી (Negligence) કે નળી ખોટી રીતે લગાવવામાં આવી હોય તેવો મુદ્દો નથી. ICUમાં નિયમ મુજબ દિવસમાં એક જ વાર પરિવારજનોને મળવાની મંજૂરી આપવામાં આવે છે અને તે સમયે આ ઘટના ધ્યાનમાં આવી હતી.
‘સ્ટાફની બેદરકારીથી કોઈનો જીવ ન જાય’
દર્દીના પુત્ર રિયાઝુદ્દીન શેખે જણાવ્યું હતું કે તેમના પિતાને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 29 ડિસેમ્બરે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ICUમાં પિતાના હાથમાંથી લોહી વહી રહ્યું હતું છતાં સમયસર ધ્યાન ન આપવું ગંભીર બાબત છે. હોસ્પિટલ (Hospital) સ્ટાફની બેદરકારી (Negligence) થી કોઈ નિર્દોષ દર્દીનો જીવ ન જાય તેવી તેમની માંગ છે.
આ મામલે પોલીસ દ્વારા જો પૂછપરછ કરવામાં આવશે તો દર્દીની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમ હોસ્પિટલ સંચાલન તરફથી જણાવાયું છે.
