અમદાવાદ,
અમદાવાદ ગ્રામ્ય દસક્રોઈમાં વાંચ ગામ ખાતે ગોચર અને ગમતળની જમીન પરના દબાણ દૂર કરવાનો મામલો આજે પેચીદો બન્યો હતો. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના દત્તક ગામમાં જ જમીન બાબતે જંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
વાંચ ગામની વાત કરવામાં આવે તો ગામમાં 10,000 ની વસ્તી છે.જેમાંથી 1200 દલિતો છે. ગત 2015 માં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગામ દત્તક લીધું હતું. તેમ છતાં અનેક વાંચગામ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે.
જેમાં હાલ ગામમાં જુના સર્વે નં- 165ની 34 વિઘાની ગૌચર અને ગામતળની જમીન પરના દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત ટીડીઓ દ્વારા માંગવામાં આવ્યો હતો.
પરંતુ આજે પોલીસ બંદોબસ્ત ન મળતા ગામના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો જનતા દ્વારા જાતે દબાણની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
સાથે જ પોલીસ બંદોબસ્ત ન મળવાની બાબતને લઈને પ્રદિપસિંહ જાડેજા પર આરોપ લગાવી ગ્રામજનોએ જણાવ્યું હતું કે પ્રદિપસિંહ જાડેજા સરકારી અધિકારીઓ સાથે મળીને વોટ ની રાજનીતિ કરી રહ્યા છે.
ગ્રામજનોનો ઉશ્કેરાટ જોઈને સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામના અગ્રણીઓ તથા તલાટી સાથે વાતચીત કરીને પોલીસ અધિકારી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.