જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો. અને પ્રવાસમાં તમારી પાસે ઓરીજીનલ ઓળખકાર્ડ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ નથી. તો ચિંતા કરશો નહીં. કારણ કે હવે ભારતીય રેલવે તમારા ડિજિટલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને ઓળખના પૂરાવા તરીકે માન્ય રાખશે. જો કે,તમારા આ ઓળખના પૂરાવાઓ સરકારના ડિજિટલ લોકર (ડિજિલોક)માં સંગ્રહાયેલા હોવા જોઇએ. ડિજિલોક સરકાર દ્વારા નાગરિકોને તેમના અગત્યના દસ્તાવેજો સ્ટોર કરવાની ફેસિલિટી આપે છે.
ભારતીય રેલવે દ્વારા ઝોનલ અધિકારીઓને આ બાબતે એક જાહેરનામુ મોકલવામાં આવ્યું છે. અને સૂચનાઓ આપવામાં આવી છે કે ડિજિટલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને ઓળખના પૂરાવા તરીકે માન્ય રાખવા. આ સૂચનામાં લખ્યુ છે કે જો રેલવેમાં પ્રવાસ કરતા મુસાફરો ડિજિલોકમાં સ્ટોર કરેલા તેમના ઓળખના પૂરાવા બતાવે તો તેને માન્ય રાખવા.
ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નાગરિકો માટે ડીજીટલ લોકરની વ્યવસ્થા ઉભી કરી છે. આ ડિજિલોકરમાં નાગરિકો ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડને સ્ટોર કરી શકે છે. ભારતીય રેલવેની આ નવી પહેલ રેલવેમાં મુસાફરી કરતા અનેક લોકોને રાહત આપશે અને સંકટ સમયમાં મદદરૂપ થશે. વળી, લોકોએ ઓળખ માટે ઓરિજિનલ દસ્તાવેજો હંમેશા સાથે રાખવાની જરૂરિયાત ઉભી નહીં થાય.