જોધપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાની ધમકી અને પ્લેનમાં આતંકવાદી હોવાની સુચના ખોટી નીકળી છે. મુંબઈથી જોધપુર પહોચેલી ફ્લાઈટ નંબર 645 માં કોઈ આતંકી ન હતા પરંતુ એક બેરોજગાર ઠગ પોતાનું નામ અને સરનામું બદલીને ટ્રાવેલ કરી રહ્યો હતો. શરૂઆતી તપાસમાં જોધપુર પોલીસે જણાવ્યું કે આરોપી યુવકને પકડી લેવામાં આવ્યો છે જે મૈસુરનો રહેવાસી છે.
પોલીસના કહેવા અનુસાર આ યુવક જેની ધરપકડ કરાઈ છે એ એક ગુમશુદા કિશોરનાં પિતા પાસેથી પૈસા ઉઘરાવવાના ઈરાદે અહિયાં આવ્યો હતો. આરોપી સાથે ગુમશુદા કિશોરનાં પિતા પણ ફ્લાઈટમાં હતા. જોધપુર પહોચીને એને ખોટી સ્ટોરી બનાવી અને મૈસુરથી સાથે આવેલા બે પોલીસવાળાને બતાવી. આતંકવાદી હોવાની ખોટી ખબર જેવી ક્રૂ મેમ્બર્સ મારફતે સુરક્ષા એજન્સીઓ સુધી પહોચી કે તરત જ એરપોર્ટ પર વિમાન લેન્ડ થતા એને ઘેરી લેવામાં આવ્યું હતું. બધાં લોકો સાથે પુછતાછ કર્યા બાદ ખબર પડી કે ફ્લાઈટમાં કોઈ આતંકી નથી.
આ પહેલાં મુંબઈથી જોધપુર પહોચેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સવાર ચાર સંદિગ્ધ મુસાફરોને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ (CISF) દ્વારા હિરાસતમાં લઇ લેવામાં આવ્યા હતા. ફ્લાઈટમાં મુસાફરી કરતા બીજા મુસાફરોએ ક્રૂ મેમ્બર્સ અને એર હોસ્ટેસને ફરિયાદ કરી હતી કે આ યાત્રી સંદિગ્ધ લાગે છે. પ્લેન લેન્ડ થયા બાદ CISF એ સંદિગ્ધ મુસાફરો સાથે પુછતાછ કરી હતી. એરપોર્ટ પર લગભગ બે કલાક સુધી તપાસ ચાલી હતી જોકે હજી આ મામલે પોલીસે સંપૂર્ણ ખુલાસો કર્યો નથી.