Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલાના કેસ (SMC Attack Case)માં નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama)એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરીને FIRમાં કેટલાક નિર્દોષ લોકોના નામ ખોટી રીતે સામેલ કરાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલાના કેસ (SMC Attack Case)માં નવો વિવાદ સામે આવ્યો
ધારાસભ્ય વિમલ ચુડાસમાના જણાવ્યા મુજબ, 8 જુલાઈના રોજ SMCની કાર્યવાહી બાદ નોંધાયેલી FIRમાં જે લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે, તેમાં કેટલાકનો ઘટનાસ્થળ સાથે કોઈ સંબંધ નથી. તેમણે દાવો કર્યો કે પોલીસના બાતમીદારો દ્વારા અંગત અદાવતના કારણે ખોટા નામો આપવામાં આવ્યા હોઈ શકે છે, જેના આધારે ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે તેમણે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ખાસ કરીને ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ ચકાસી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
વિમલ ચુડાસમાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસે આ કેસમાં અંદાજે 200 જેટલા લોકો સામે FIR નોંધાવી છે, જેમાં અનેક નિર્દોષ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ મામલે હવે પોલીસ તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.
