રાજકીય પાર્ટીના ફંડને ભલે કોરોના નાં લાગ્યો હોય પરંતુ ભગવાનને અર્પણ થતી ભેટ ચોક્કસથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતના મોટાભાગના મંદિરોમાં આવકમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં વકરેલા કોરોનાને પગલે રાજ્યના તમામ મંદિરોમાં દર્શન બંધ હતા. રાજ્યમાં કોરોનાનો કહેર ઘટતા રાજ્યના તમામ મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
મંદિરોમાં દર્શન બંધ રહેવાને કારણે ભક્તોનો પ્રવાહ અટકી ગયો હતો. જેને પગલે મંદિરમાં થતી દાનની આવકમાં પણ ઘટાડો નોધાયો છે. કેટલાંક મંદિરોમાં તો એવી પરિસ્થિતિ જોવા મળી કે મંદિરની આવકમાંથી કરાયેલ ફિકસ્ક ડિપોઝીટને તોડી કર્મચારીઓનો પગાર કરાયો.
કોરોના મહામારી પહેલાં શામળાજી મંદિરની સરેરાશ મહિને 15 થી 20 લાખ દાનની આવક થતી. જો કે કોરોનાનાઈ પ્રથમ લહેરમાં 70 દિવસ અને બીજી લહેરમાં 50 દિવસ કરતા વધુ સમય સુધી ભગવાન શામળિયાના દ્વાર બંધ રહેતા મંદિરની આવકમાં મોટો ઘટાડો થયો છે.
અંબાજી મંદિર બંધ રહેતા અંબાજી સહિતના યાત્રાધામોના યાત્રિકો પર નિર્ભર તમામ બજારો પણ બંધ કરવામાં આવ્યા હતા. અંબાજી યાત્રિકો અને પ્રવાસીઓથી બારેમાસ ધમઘમતું રહે છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનારૂપી મહામારીના લીઘે મહિનાઓ સુધી મંદિર બંધ રહેતા આવક માં મોટો ઘટાડો નોધાયો છે.
ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ગત વર્ષના લોકડાઉનમાં 72 દિવસ ભકતો માટે બંધ રહ્યું હતું. જ્યારે હાલ કોરોનાના કારણે 2021માં 58 દિવસ બંધ રહ્યું છે. સૌથી વધારે ભકતો નવરાત્રિમાં આવતા હોય છે ત્યારે પણ મંદિર ભકતો માટે બંધ રહેતા માતાજીની દાનપેટીમાં અગાઉના વર્ષ કરતાં ચાલીસેક ટકા દાન ઓછું આવ્યાનો અંદાજ છે.