Maharashtra News : મહારાષ્ટ્રના અમરાવતીમાં જિલ્લા મહિલા હોસ્પિટલના નવજાત શિશુ સંભાળ કેન્દ્ર (SNCU/NICU)માં રવિવારે વહેલી સવારે ભયાનક આગ (Amravati Hospital Fire)લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રીજા માળે વેન્ટિલેટરમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ નવજાત શિશુઓનાં મોત (Newborn Baby Death)થયા છે.
39 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતા

મળતી માહિતી પ્રમાણે, ઘટના સમયે NICUમાં કુલ 39 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતા. આગ લાગતાં જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ડોકટરો, નર્સો અને હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્ટાફની ઝડપી કામગીરીથી 36 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જ્યારે આગ અને ધુમાડાથી અસરગ્રસ્ત છ નવજાત શિશુઓને વધુ સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધુમાડો બન્યો જીવલેણ

આગ દરમિયાન ફેલાયેલા ધુમાડાને કારણે કેટલાક નવજાત શિશુઓની સ્થિતિ ગંભીર બની હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, ત્રણ બાળકોના મોત (Newborn Baby Death)દાઝી જવા અને ધુમાડાને કારણે ગૂંગળામણથી થયા હોવાનું સામે આવ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.
વેન્ટિલેટરમાં વિસ્ફોટ બાદ આગ
આ ઘટના રવિવારે સવારે આશરે 3:30 વાગ્યે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, NICUમાં રહેલા એક વેન્ટિલેટરમાં વિસ્ફોટ થયા બાદ આગ ભભૂકી હતી.
હાલમાં વેન્ટિલેટરમાં ખરેખર કઈ ખામી સર્જાઈ હતી અને આગનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
આગની ઘટનાની તપાસ શરૂ
ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન અને સંબંધિત અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. NICUમાં રહેલા મેડિકલ સાધનો, વેન્ટિલેટર અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, હોસ્પિટલમાં આગથી બચાવ માટેની વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ થવાની શક્યતા છે.
