રાવણ દહન જોવા માટે ભેગા થયેલાં લોકો પર ટ્રેન ચાલી જતા 61 લોકોનાં મૃત્યુ થયા હતા. આ રાવણ દહન કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવજોત કૌર સિદ્ધુને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનાં આયોજક સૌરભ મદન, જે યુથ કોંગ્રેસના સેક્રેટરી છે એ ગાયબ છે.
જયારે એમનાં ઘરે તપાસ કરવામાં આવી તો ત્યાં તાળું લાગ્યું હતું. ઘરની આસપાસના લોકોએ જણાવ્યું કે લોકોએ એમનાં પર હુમલો કર્યો હતો ત્યારબાદ તેઓ પોતાનાં પરિવાર સાથે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી ઘર છોડીને જતા રહ્યાં છે.
અમૃતસર મ્યુનીસીપલ કોર્પોરેશન કમિશનર સોનાલી ગીરીએ જણાવ્યું હતું કે આ દશેરા ઇવેન્ટ કરવા માટેની મંજુરી કોઈએ આપી ન હતી અને કોઈએ મંજુરી લેવા માટે અપ્લાય પણ કર્યું ન હતું. આ રાવણ દહન કાર્યક્રમને જોવા માટે ઘણાં લોકો એકઠા થયા હતા.