Junagadh News:જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીક છોડવડી રોડ પર આવેલા માં અમર શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે જાતીય સતામણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાએ શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે, જેમાં સંસ્થાના આચાર્ય કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશી પર 20થી વધુ બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ નીચ કૃત્ય CCTV ફૂટેજમાં કેદ થયું હોવાનું પણ સામે આવ્યું છે.રવિવારે સંકુલમાં યોજાયેલી વાલી મિટિંગ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો, જ્યારે વાલીઓએ આચાર્ય અને ગૃહપતિ પર બાળકો સાથે અયોગ્ય વર્તનના આક્ષેપો લગાવ્યા. આ હોબાળો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, અને સોમવારે બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ સંસ્થાની મુલાકાત લઈને બાળકો સાથે વાતચીત કરી.
આ તપાસમાં બાળકોએ આચાર્ય અને ગૃહપતિ દ્વારા જાતીય શોષણની પુષ્ટિ કરી હતી. જોકે, વાલીઓ શરૂઆતમાં ફરિયાદ નોંધાવવા માટે તૈયાર ન હતા. આથી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય અને તેમની ટીમે ભેસાણ પોલીસને સાથે રાખીને સોમવારે સંસ્થામાં પ્રાથમિક તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન બે બાળકો સાથે વાતચીતમાં આચાર્ય અને ગૃહપતિ દ્વારા જાતીય શોષણની વિગતો સામે આવી. સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા બાદ, જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ પર ટ્રસ્ટીઓએ આચાર્ય કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશી સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આચાર્ય અને ગૃહપતિની અટકાયત કરી.
DYSP હિતેશ ધાંધલ્યા અનુસાર સંસ્થાના ટ્રસ્ટીની ફરિયાદના આધારે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ, ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સંસ્થાના CCTV ફૂટેજ અને DVR કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.ફરિયાદમાં હાલ બે બાળકો સાથે જાતીય સતામણી અને બે બાળકો તેના સાક્ષી હોવાનો ઉલ્લેખ છે. જોકે, પોલીસે અન્ય બાળકો સાથે પણ આવું કૃત્ય થયું હોય તેવી શક્યતાને ધ્યાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બાળકોનું કાઉન્સેલિંગ કરીને વધુ વિગતો એકત્રિત કરવામાં આવશે, જેથી આ ગંભીર પ્રકરણની સંપૂર્ણ હકીકત સામે આવી શકે.
