IPL 2022/ પંજાબ કિગ્સને વધુ એક મોટો ઝટકો, રાહુલ બાદ કોચે પણ છોડ્યો ટીમનો સાથ

ઝિમ્બાબ્વેનાં ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરે પંજાબ કિંગ્સનાં સહાયક કોચ તરીકે રાજીનામું આપી દીધું છે અને તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં નવી ટીમમાં જોડાય તેવી શક્યતા છે.

Sports
પંજાબ કોચ એન્ડી ફ્લાવર

પંજાબ કિગ્સને કે.એલ.રાહુલ બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઝિમ્બાબ્વેનાં ભૂતપૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરે પંજાબ કિંગ્સનાં સહાયક કોચ તરીકે રાજીનામું આપી દીધું છે અને તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં નવી ટીમમાં જોડાય તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડમાં એક દાયકાથી વધુ સમય સુધી કોચ તરીકે કામ કરનાર ફ્લાવર 2020ની સીઝન પહેલા પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા હતા. આ પ્રથમ વખત છે જ્યારે તે IPL ટીમ સાથે જોડાયા હતા.

પંજાબ કોચ એન્ડી ફ્લાવર

આ પણ વાંચો – IPL 2022 / Retention માં આ ખેલાડીઓને થયો ફાયદો, તો આ ખેલાડીઓને થયુ નુકસાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં એક અધિકારીએ PTI ને જણાવ્યું, “તેમણે તાજેતરમાં જ ટીમને પોતાનું રાજીનામું મોકલ્યું છે. તેનો સ્વીકાર કરવામાં આવેલ છે. તે નવી ટીમ (લખનઉ કે અમદાવાદ)માં જોડાય તેવી પૂરી સંભાવના છે. 53 વર્ષીય પૂર્વ બેટ્સમેનને આગામી IPLમાં વધુ મહત્વની જવાબદારી આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. ફ્લાવર છેલ્લા બે વર્ષથી મુખ્ય કોચ અનિલ કુંબલે સાથે કામ કરી રહ્યા હતા. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે છેલ્લી બે સીઝનથી પંજાબ કિંગ્સનાં કેપ્ટન રહી ચૂકેલા કેએલ રાહુલ લખનઉ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. પંજાબ રાહુલને ટીમમાં જાળવી રાખવા માંગતા હતા પરંતુ આ ઓપનિંગ બેટ્સમેન કોઈ અન્ય ટીમમાં સામેલ થવા માંગે છે.

પંજાબ કોચ એન્ડી ફ્લાવર

આ પણ વાંચો – IPL 2022 / Retain કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર, MI અને CSK એ રીટેન્શનમાં મારી બાજી

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ફ્લાવર સેન્ટ લુસિયા કિંગ્સનાં કોચ તરીકે ચાલુ રહેશે કે કેમ તે જોવું રહ્યું. આ ફ્રેન્ચાઇઝી પણ એ જ જૂથની માલિકીની છે જે પંજાબ કિંગ્સની માલિકી ધરાવે છે. ગત સીઝનમાં વસીમ જાફર પંજાબ કિંગ્સનાં બેટિંગ કોચ હતા અને જોન્ટી રોડ્સ ફિલ્ડિંગ કોચ હતા. પંજાબે જાન્યુઆરીની હરાજી પહેલા માત્ર બે ખેલાડીઓ મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે.