Surat News:ગુજરાતમાં વધુ એક BLOના મોતની ઘટના સામે આવી છે.કુકરમુંડા તાલુકાના પીશાવર ગામમાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને બૂથ લેવલ ઓફિસર (BLO) રાધાબેન ભીલ (40) નું તબિયત બગડતા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં અચાનક મૃત્યુ થયું.અણધારી રીતે બનેલી આ દુ:ખદ ઘટનાએ આખા પીશાવર ગામને શોકમાં ડૂબાડી દીધું છે.અહેવાલો અનુસાર, 2011 થી મૌજના પીશાવર ગામમાં આંગણવાડી કેન્દ્ર-2 માં આંગણવાડી કાર્યકર તરીકે કાર્યરત રાધાબેન ભીલને તાજેતરમાં ચૂંટણી સંબંધિત ફરજો માટે BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા રવિવારે, જ્યારે તેઓ ઘરે હતા, ત્યારે તેમની તબિયત અચાનક બગડી ગઈ.
તેમના પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી વાહનમાં મહારાષ્ટ્રના શહાદાની એક હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, ત્યાં ફરજ પરના ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે તેમને બીજી હોસ્પિટલમાં (Hospital) લઈ જવાની સલાહ આપી.
BLO રાધાબેન ભીલનું રસ્તામાં જ મૃત્યુ થયું
માહિતી મુજબ, ઘરે પરત ફરતી વખતે રાધાબેનનો શ્વાસ બંધ થઈ ગયો હતો. આંગણવાડી કાર્યકરના મૃત્યુથી તેમના પરિવાર અને આખા ગામને આઘાત લાગ્યો છે. પરિવાર શોકમાં ડૂબી ગયો છે. મૃતક રાધાબેનના પતિ ભગવાન ભીલ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમને એક પુત્રી અને એક પુત્ર છે.
તેમની મોટી પુત્રી કુકરમુંડાના બહુરૂપા ગામની આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે, જ્યારે તેમનો નાનો પુત્ર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પરિવારના મુખ્ય કમાનાર અને પંદર વર્ષથી સમર્પિત કાર્યકર રાધાબેનના અકાળ મૃત્યુથી પરિવાર તૂટી ગયો છે.

