- હુમલા માટે જવાબદાર આતંકવાદી બશીર ગનીની ધરપકડ
- આતંકવાદીઓએ 2019થી શરૂ કર્યુ છે ટાર્ગેટ કિલિંગ
- રાજકીય નેતાઓ દ્વારા ઘટનાની નિંદા કરવામાં આવી
કાશ્મીરમાં પરપ્રાંતીય મજૂરો પર ફરી હુમલો થયો છે. આતંકવાદીઓએ સોમવારે રાત્રે ગ્રેનેડ હુમલો કરીને સૂતેલા બે મજૂરોની હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમન ગામમાં રહેતા આ પરપ્રાંતીય મજૂરો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને મજૂરોનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
પોલીસે પરપ્રાંતીય કામદારો પર સોમવારે રાત્રે થયેલા હુમલા માટે જવાબદાર “હાઇબ્રિડ” આતંકવાદીની ધરપકડ કરી છે. મૃતકોની ઓળખ મનીષ કુમાર અને રામ સાગર તરીકે થઈ છે, જેઓ યુપીના કન્નૌજના રહેવાસી છે. આ ઘટનાના બે દિવસ પહેલા આતંકવાદીઓએ શોપિયાંના ચૌધરી ગુંડ ગામમાં સ્થાનિક કાશ્મીરી હિન્દુ પુરણ કૃષ્ણ ચંદને તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી હતી.
પરપ્રાંતીય મજૂરો પરના હુમલા અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું કે આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા અને બે મજૂરોને નિશાન બનાવ્યા. તેમના નામ મનીષ કુમાર અને રામ સાગર છે. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ બંનેના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે હુમલા માટે જવાબદાર લશ્કરના આતંકવાદી ઈમરાન બશીર ગનીની ધરપકડ કરવામાં આવી છે. બાબતે તપાસ ચાલુ છે.
રાજકીય નેતાઓએ કાશ્મીરમાં આ બંને હત્યાઓની નિંદા કરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયને નિશાન બનાવ્યો હોય. વર્ષ 2019થી કાશ્મીરમાં આવી ઘટનાઓ વધી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી આવી ઘટનાઓમાં વધારો થયો છે. સત્તાવાર રેકોર્ડ મુજબ આ વર્ષે ચાર કાશ્મીરી પંડિત આતંકી હુમલામાં માર્યા ગયા છે.