અરવલ્લી,
ચોમાસું નજીક આવી રહ્યું છે અને નર્મદા નદી દિનપ્રતિદિન સુકાઈ રહી છે. ખેડૂત લોકોએ પોતાના પાણીના સ્ત્રોતના નિર્માણ માટે પોતાની રીતે કોઈને કોઈ પગલાઓ ભરી રહ્યા છે.
એવામાં અરવલ્લીના ગ્રામિણ લોકો દ્વારા વારંવાર અરવલ્લી કલેક્ટરને જળ સંચય અર્થે પગલાં ભરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. પ્રતિક્રિયા રૂપે કોઈ પણ પગલા ન લેવાતા મેઘરજ તાલુકાનાં ગ્રામિણ લોકોએ થોડા દિવસો પહેલા સ્વેચ્છાએ વાત્રક નદી પર ચેકડેમનું ભગીરથ બાંધકામ કરવાની શરૂઆત કરી દીધી છે.
ગ્રામિણ લોકોએ વારંવાર તંત્રને આ બાબતે ધ્યાન દોરવા આજીજી કરી હતી. પરંતુ પ્રતિક્રિયા રૂપે કોઈ પગલા ન ભરવાના કારણે અંતે મેઘરજ તાલુકાનાં 7 ગામના 500 જેટલા લોકોએ મળીને સ્વેચ્છાએ જળ સંચય અર્થે નદીમાં ચેકડેમના બાંધકામનાં અભિયાનની શરૂઆત કરી દીધી હતી. લોકો કાળઝાળ ગરમીમાં છેલ્લા 15 દિવસોથી પોતાના ઘરનાં કામો છોડીને બાંધકામ કરવા માટે જાય છે. તેમનું માનવું છે કે મેઘરજ તાલુકામાં મેઘરાજાનું આગમન થાય એ પહેલા બધા મળીને ચેકડેમ બનાવવાના કાર્યને પૂર્ણ કરી લેશે.
સત્કાર્યમાં સૌ સામેથી સાથ આપે છે. એવું જ આ કિસ્સામાં પણ થયું છે. ઘણી સંસ્થાઓ અને લોકોએ આ ચેકડેમ બનાવવાનાં કાર્યને પૂર્ણ પાડવા માટે શ્રમદાન કર્યા છે. જેમાં રૂપિયા, સિમેન્ટ અને લોખંડ જેવી વસ્તુઓને સામેલ કરવામાં આવેલ છે. જો આ કાર્ય સમયસીમા પહેલા પૂર્ણ થઇ જશે તો મેઘરજ ગામનાં લોકો વર્ષમાં ત્રણ પાક લેવા સમર્થ થઇ જશે.