Ahmedabad News: અમદાવાદના નારોલ સ્થિત નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટ (NTIEM) ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) મુલાકાત લઈને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. મુલાકાત દરમિયાન તેમણે ‘ગ્રીન ગુજરાત’ અભિયાનને પ્રોત્સાહન આપવા વૃક્ષારોપણ પણ કર્યું. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ હાજર રહ્યા હતા.
Arjun Modhwadia: CETP પ્લાન્ટનું પ્રત્યક્ષ નિરીક્ષણ
મંત્રીએ NTIEM ખાતે આવેલા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)નું નિરીક્ષણ કરીને ઔદ્યોગિક ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા, પ્લાન્ટની કાર્યક્ષમતા તેમજ પર્યાવરણ સુરક્ષા માટે અપનાવવામાં આવેલી ટેકનોલોજીની સમીક્ષા કરી. તેમણે કલેક્શન સમ્પ, સ્ક્રીનિંગ યુનિટ અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું.
ઉદ્યોગકારો સાથે સંવાદ

CETPની મુલાકાત બાદ મંત્રીએ NTIEMના કોન્ફરન્સ હોલમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભ્ય ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતીય ઉદ્યોગોએ સમયસર આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવાની જરૂર છે.
યુરોપિયન બજાર માટે ધોરણોનું પાલન જરૂરી
મંત્રીએ જણાવ્યું કે યુરોપ સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો સંપૂર્ણ લાભ મેળવવા માટે પર્યાવરણીય ધોરણો, લેબર નોર્મ્સ અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું કડક પાલન કરવું અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું એ દરેક ઉદ્યોગની સામાજિક અને નૈતિક જવાબદારી છે.
‘વિકસિત ભારત 2047’ માટે ગ્રીન ઇન્ડસ્ટ્રી પર ભાર

અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાનના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું. તેમણે ટેક્સટાઇલ ઉદ્યોગોને ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને નવીન ટેક્નોલોજી અપનાવવા, પ્રદૂષણમુક્ત ઉત્પાદન પ્રક્રિયા અમલમાં મૂકવા તેમજ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) અને રિસાયક્લિંગ આધારિત મોડેલ તરફ આગળ વધવા અનુરોધ કર્યો.
GPCBએ સરકારની પહેલ અંગે આપી માહિતી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડે ઉદ્યોગો માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયો, નવી સુવિધાઓ અને પ્રકલ્પોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્યોગોની જરૂરિયાતો અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
અધિકારીઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં GPCBના વરિષ્ઠ અધિકારીઓ, NTIEMના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભ્ય ઉદ્યોગકારો, ચિરિપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના જ્યોતિ ચિરિપાલ, પર્યાવરણ વિભાગના અધિકારીઓ તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: હવે નહીં ચાલે ‘એનાલોગ’ પનીરનો ખેલ! ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બનાવી ટાસ્ક ફોર્સ
આ પણ વાંચો: 12મો નેશનલ હૅન્ડલૂમ ડે: ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ
આ પણ વાંચો: અમદાવાદમાં વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો થશે કડક કાર્યવાહી
