નરેન્દ્ર રાવલ ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં માથક ગામમાં રહેતા હતા. ગુજરાતનાં ભુજનાં એક પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિરનાં પુજારી રહી ચુકેલા નરેન્દ્ર રાવલ આજે અરબપતિ બિઝનેસમેન છે. એમની આત્મકથા હાલમાં જ કેન્યામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એમની આત્મકથાનું નામ “ગુરુ: અ લોંગ વોક ટુ સક્સેસ” છે.
૪ હજાર કરોડની નેટવર્થ ધરવતાં આ બિઝનેસમેન દેવકી ગ્રુપ ઓફ કંપનીઝનાં ચેરમેન છે અને તેઓનો મુખ્યત્વે બિઝનેસ સ્ટીલ અને સિમેન્ટનો છે, જે આફ્રિકાનાં ઘણા દેશોમાં ફેલાયેલો છે. હાલમાં જ ફોર્બ્સ મેગેઝીને નરેન્દ્ર રાવલને આફ્રિકાનાં સૌથી ધનવાન લોકોની યાદીમાં શામેલ કર્યા હતા.
પોતાની આત્મકથામાં તેમણે બધું જણાવ્યું છે કે એક પુજારીથી તેઓ એક સફળ બિઝનેસમેન કઈ રીતે બન્યા. તેઓ આફ્રિકામાં ગુરુ નામથી જાણીતા છે. જયારે તેઓ ભારત દેશથી કેન્યા ગયા હતા ત્યારે તેઓએ એક સ્ટીલ ફેકટરીમાં કારીગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સફળતા સુધી પહોંચવામાં હસ્તરેખા અને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન,આ બંને વસ્તુઓએ એમની ખુબ મદદ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જયારે વર્ષ 1983 માં કેન્યાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડેનિઅલ અરપ મોઈ સાથે નાકુરમાં એમની મુલાકાત થઇ અને ત્યારબાદ તેઓ કેન્યામાં જઈને વસ્યા. જયારે તેમણે જણાવ્યું કે તેઓને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન છે, ત્યારબાદ એમને પહેલીવાર સ્ટેટ હાઉસમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. સમય જતાં નરેન્દ્ર રાવલનાં રાષ્ટ્રપતિ મોઈ સાથેનાં સંબંધ સારા થયા હતા અને તેઓ તેમનાં રાજનીતિક સલાહકાર પણ બની ગયા.
પોતાની આત્મકથામાં એમણે જણાવ્યું છે કે, એમનાં ભારતીય જ્યોતિષ શાસ્ત્રનાં રસ અને ચોક્કસ ભવિષ્યવાણીએ નરેન્દ્રને ઘણાં રાજનેતાઓમાં લોકપ્રિય બનાવી દીધા. એક મહત્વની વાત એ પણ છે કે નરેન્દ્ર રાવલની આત્મકથા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનો સંદેશ મોકલ્યો હતો.