@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
હિંદી ફિલ્મ ‘સંબંધ’માં મધુર કંઠના ગાયક સ્વ. મુકેશજીએ ગાયેલું ગીત હતું ‘ચલ અકેલા ચલ અકેલા’ જ્યારે ગુજરાતીમાં પણ એક એવું જ ગીત છે કે ‘આવ્યા છો એકલા અને જવાનું છે એકલા’ આ ગીતોની અસર બીજા બધાને થાય કે ન થાય પરંતુ રાજકીય પક્ષોને અવશ્ય થઈ છે. સૌને એકલા હાથે ચૂંટણી લડી લઈ પોતાની હેસિયતનો ક્યાલ કર્યા વગર આખો લાડવો ખાઈ લેવાનો રંગ લાગ્યો છે. આ એક નોંધપાત્ર બાબત કહી શકાય. આમ તો ૧૯૬૭માં જેના પાયા નખાયા હતા તે બીનકોંગ્રેસી પક્ષોની એકતા ૧૯૭૭માં કેન્દ્રમાં સત્તા મેળવવામાં પણ સફળ થઈ પરંતુ પછી ચિત્ર બદલાયું. પછી ફરી બધા વિખૂટા પડી એકલા પડ્યા. ૧૯૭૧નું મહાજાેડાણ કે જેને તત્કાલીન વડાપ્રધાને ૧૯૮૦માં નારંગી સાથે સરખાવ્યા હતાં. ૧૯૮૫માં બીનકોંગ્રેસી પક્ષો પોતાની તાકાતથી લડ્યા અને સાફ થઈ ગયા. કોંગ્રેસે તે વખતે મેળવેલી ૪૦૦ (પ્લસ) બેઠકોનો રેકોર્ડ હજી કોઈ પક્ષ તોડી શક્યો નથી. તે પણ હકિકત છે. ૧૯૮૯માં કોંગ્રેસ વિરોધી ત્રણ કે ચાર પક્ષો ભાજપ, જનતા દળ વગેરેએ રાજ્યોવાર જાેડાણ કરી જીત તો મેળવી પણ જીરવી શક્યા નહિ. ૧૯૯૧માં કોંગ્રેસે ઓછી બેઠકો મળવા છતાં અન્ય પક્ષોનો ટેકો લઈ પૂરા પાંચ વર્ષ સરકાર ચલાવી બતાવી. ૧૯૯૬થી ગઠબંધનનો યુગ શરૂ થયો જે આજની તારીખમાં ચાલુ છે. અટલજીએ છ વર્ષ ગઠબંધનવાળી એન.ડી.એ.ની સરકાર ચલાવી. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી મનમોહનસિંહે ગઠબંધ સાથે જ યુપીએ-૧ અને યુપીએ-૨ ની સરકાર ચલાવી. પોતાની તાકાત પણ બતાવી. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપે એન.ડી.એ.ના ઘટક પક્ષો સાથે રહી જીત તો મેળવી અને ભાજપને આ બન્ને ચૂંટણીમાં એકલા હાથે સરકાર શકે તેટલી બેઠકો મળી હોવા છતાં સરકાર ભલે મોદીના નામે અને એન.ડી.એ.ની જ ચાલે છે તે હકિકત છે.
૨૦૧૪ થી ૨૦૨૧ સુધી ગઠબંધન એટલે કે વિપક્ષી ગઠબંધનના ઘણા પ્રયોગો થયા. તેમાંય યુપીમાં ૨૦૧૭ની ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ ગઠબંધન રચાયું તો ત્યારબાદ પેટાચૂંટણી વખતે કોંગ્રેસ, સપા, બસપા અને અજીતસિંહના રાષ્ટ્રીય લોકશાહી દળનું ગઠબંધન રચાયું તેને સફળતા પણ મળી, પરંતુ આ કહેવાતા મહાગઠબંધનનું બાળમરણ પણ થઈ ગયું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરીમેદાન મારી ગયું. લોકસભા ચૂંટણીમાં ત્રણથી વધુ વખત ઉત્તરપ્રદેશનું મુખ્યમંત્રીપદ સંભાળી ચૂકેલા માયાવતીના પક્ષ બહુજન સમાજ પાર્ટીએ ૧૧ બેઠકો જીતી. એટલે તેઓ હવામાં આવી ગયા છે અને તેઓ હવે તમામ સ્થળે એકલા ચૂંટણી લડે છે. ૨૦૨૨ના એપ્રિલ-મે માં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં બસપાએ એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. હાલ યુપી વિધાનસભામાં બસપાના ૧૫ આસપાસ સભ્યો છે અને તે પણ બળવાના મૂડમાં છે.
યુપીમાં ભાજપને તો અપના દળ જેવા બે કે ત્રણ નાના પક્ષો સાતે જાેડાણ છે અને તે ટકાવવા અમૂક વિસ્તારમાં અમૂક બેઠકોનો ટૂકડો નાકશે એટલે તેનો ખેલ ચાલશે. હવે અધૂરામાં પુરૂ હોય તેમ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે પણ એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીમાં કોંગ્રેસની નૈયાને પાર ઉતારવાનું બીડુ ઝડપ્યું છે. જાે કે તેમાં સફળ થવાની શક્યતા નહિવત છે. બહુ બહુ તો રાષ્ટ્રીય પક્ષ તરીકેની પોતાની માન્યતા ટકાવવા જેટલા મત મળી શકે છે પરંતુ બાકી મુખ્ય વિરોધ પક્ષ પણ બની શકે તેમ નથી. ૨૦૧૪ બાદ યુપીમાં કોંગ્રેસ પતનના માર્ગે ધકેલાઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં લોકસભાની ૨૧ બેઠકો મેળવનાર કોંગ્રેસ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૩૫ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અમેઠી અને રાયબરેલીની એટલે કે પ્રણાલિકાગત બેઠકો સહિત માત્ર બે જ બેઠકો પર જીત મળી હતી. જ્યારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર સમ ખાવા પૂરતી સાત બેઠકો સપા સાથે ગઠબંધનમાં હોવા છતાં મળી હતી. તેમાંના બે ધારાસભ્યો ભાજપ સાથે સંબંધો બાંધી ચૂક્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર રાયબરેલીની શ્રીમતી સોનિયા ગાંધીની જીતવાળી બેઠક મળી છે. અમેઠીમાં પણ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની હાર થઈ છે. જાે કે કેરળની વાયનાર બેઠક પર જીતીને સાંસદ તરીકે ચાલુ રહી શક્યા છે તે સારી વાત છે. આવી વિકટ અને ગુમાવેલા જનાધારવાળી સ્થિતિ હોવા છતાં કોંગ્રેસ યુપીમાં કયા ગણિતના આધારે એકલા હાથે બેઠકો લડવા માગે છે તે જ કાંઈ સમજાતું નથી. માત્ર પ્રિયંકા ગાંધીના સહારે કે તેમના આક્રમક પ્રચારના સહારે કોંગ્રેસે ચૂંટણી લડવાનું વિચાર્યું હોય તો માત્ર ચમત્કાર જ કોંગ્રેસને ચૂંટણી જીતાડી શકશે કે ૨૫ બેઠકોય અપાવી શકશે તેવું રાજકીય નિરિક્ષકો કહે છે.
૨૦૦૭માં માયાવતીએ અને ૨૦૧૨માં અખીલેશ યાદવે એકલા હાથે ચૂંટણી જીતી હતી પણ આ વખતે યુપીમાં ભાજપને પણ નાના પક્ષોને પોતાના સાથીદાર બનાવવા પડ્યા છે ત્યારે તે સત્તા મેળવે છે. બાકી તો વિપક્ષો ભાજપની સામે લડવાને બદલે અંદરોઅંદર લડશે તો મતવિભાજનનો ફાયદો ભાજપને જ થવાનો છે. શું તમામ પક્ષોએ યુપીમાં ભાજપને ફરી સત્તા પર બેસાડવા માટેની સોપારી લીધી છે ? શું વિપક્ષો હંમેશા ભાજપની બી ટીમ તરીકે જ ભૂમિકા ભજવવા માગે છે ? કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ઔવીસીની પાર્ટી પણ યુ.પી.માં. લડવાની છે હવે ત્યાં મતવિભાજન વ્યાપક સ્તરે થાય અને સત્તાધારી ભાજપ કેન્દ્ર અને રાજ્યમાં અને હવે તો યુપીમાં સ્થાનિક સ્તરે પોતાની સત્તા છે તેવે સમયે અમૂક ટકા મત તો તેના છે જ. હવે ભાજપ વિરોધી મતોનું ચાર કે પાંચ ભાગમાં વિભાજન થાય તો અંતે તો ફાયદો ભાજપને જ થવાનો છે. ભાજપવિરોધી પક્ષોને તો અત્યારે યુપીમાં મુખ્ય વિરોધ પક્ષ કોણ બને તે માટે જ લડવાનું છે તેવું લાગે છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને કોઈ પક્ષે સાથ ન આપ્યો છતાં એકલા હથે ૨૧૩ બેઠકો જીતી બતાવી. ત્યાં ગઠબંધન કરનારા કોંગ્રેસ અને ડાબેરીઓ પોતાનું ખાતું ન ખોલાવી શક્યા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી ભાજપ-કોંગ્રેસ સામે લડીને ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ બેઠકો સાતે સત્તા જાળવી છે પણ મમતા બેનરજી અને કેજરીવાલ જીતે એટલે અન્ય સ્થળોએ એક યા બીજાે પક્ષ ફાવી જાય તેવું માની શકાય નહિ. બધા રાજ્યોમાં કોઈ ઓરિસ્સા આંધ્ર કે તેલંગણા જેવી સ્થિતિ કે તેના જેવો જનાધાર ધરાવતા નેતાઓ નથી કે જે પોતાના પક્ષને જીતાડી શકે. જાે કે કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી તો ‘એકલો જાને રે’નો કે ‘ચલ અકેલા’નું સૂત્ર સાવ સફાયો કરનારૂં પૂરવાર થઈ શકે તેમ છે. જાે આમ જ ચાલ્યું તો યુપીમાં તો કોંગ્રેસ ઈતિહાસ બનીને રહી જશે તે પણ નિશ્ચિત છે.
‘એકલા આવ્યા છો અને એકલા જવાનું છે’ તે ભજન જીવન અને મૃત્યુ અંગેનું છે. હવે અત્યારે યુપીમાં એકલા હાથે લડવાનો કોંગ્રેસનો નિર્ણય કોઈ તેનો સાથ લેવા તૈયાર નથી તે છે. તેથી જાે કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ નહિ કરે તો દેશના સૌથી જૂના પક્ષ માટે ‘એક હતી કોંગ્રેસ’ એવી વાત કહેવાનો વારો આવશે તે પણ હકિકત છે.