સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે મધ્યસ્થી સુનાવણી થઇ છે. અયોધ્યા મામલે મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. પાંચ જજની બંધારણીય બેંચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મધ્યસ્થતા માટે નામ ભલામણ કરવા કહ્યું છે. મોટી વાત એ છે કે સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં મધ્યસ્થતા માટે એક પેનલની રચના થવી જોઈએ.
હિન્દુ મહાસભા મધ્યસ્થતાની વિરુદ્ધ છે. બીજી તરફ, નિર્મોહી અખાડા અને મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે તૈયાર છે. મુસ્લિમ પક્ષે કોર્ટમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ જ નક્કી કરે કે વાતચીત કેવી રીતે થાય.
સુપ્રીમ કોર્ટમાં હિન્દુ સભા એ ક્લિયર સ્ટેન્ડ રાખ્યું કે મધ્યસ્થતા થઇ શકે નહીં. મહાસભા એ કહ્યું કે ભગવાન રામની જમીન છે. તેને (બીજા પક્ષને) તેનો હક નથી આથી તેને મધ્યસ્થતા માટે મોકલી શકાય નહીં.
રામલલા વિરાજમાનનું પણ કહેવું હતું કે મધ્યસ્થતાથી કેસનો ઉકેલ નીકળી શકે નહીં. જો કે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડે મધ્યસ્થતાનો પક્ષ લીધો.
જસ્ટિસ બોબડે જણાવ્યું હતું કે, મેડિએશનની પ્રક્રિયા ગોપનીય રહેશે અને તે ભૂમિ વિવાદની સુનાવણીની સાથે સાથે ચાલશે. હિન્દુ અને મુસલમાન પક્ષકારોનું કહેવું હતું કે, પહેલા પણ કોર્ટની પહેલ પર આ પ્રકારે વિવાદ ઉકેલવાની કોશિશ નિષ્ફળ ગયેલી છે.
મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, મેડિએશનની એક તક આપી શકાય, પણ હિન્દુ પક્ષકારોને એ સ્પષ્ટ હોવું જોઈએ કે કેવી રીતે આગળ વધાશે.
જસ્ટિસ બોબડે જણાવ્યું હતું કે, અમે એક પ્રોપર્ટી વિવાદને નિશ્ચિત રીતે ઉકેલી શકીએ છીએ, પરંતુ અમે સંબંધોને વધુ સારા કરવા પર વિચાર કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને દસ્તાવેજોના અનુવાદ જોવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે અમારા મત મુજબ 8 અઠવાડિયાના સમયનો ઉપયોગ પક્ષ મધ્યસ્થતા દ્વારા મામલો ઉકેલવા માટે પણ કરી શકીએ છીએ.