અંકલેશ્વર,
રાજ્ય સરકાર દ્રારા અંકલેશ્વરમાં જળ સંચય અભિયાન શરૂ કરીને ગુજરાતના 58માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આજે 1લી મેએ ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વર ના કોસમડી તળાવ થી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ કરાવતા કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન થી ગુજરાત પાણીના દુકાળ ને ભૂતકાળ બનાવશે.
નદીઓ પુનઃજીવિત કરવાની આ કામગીરીમાં નદી વિસ્તારના કેચમેન્ટમાં ચેકડેમ, નવા તળાવો તેમજ ખેત તળાવને ઉંડા કરવા, વોટર સ્ટ્રક્ચર્સની મરામત કરવી તેમજ ડીસીલ્ટીંગ જેવા કામોનો સમાવેશ થાય છે. રાજ્યના ૩૦ જિલ્લાઓમાં ખેત પાળાબંધી, પથ્થર પાળાબંધી, ચેકવોલ, નાળા, કોતર તેમજ ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામો કરીને ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં’ ના મંત્રને સાર્થક કરીને સુજલામ સુફલામ અભિયાન હેઠળ જળસંચય કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જન જનને વરસાદી પાણી ના સંગ્રહ સાથે પાણીના એક એક બુંદ ને પરમેશ્વર નો પ્રસાદ માની ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. તેમણે આ જળ અભિયાન માં ગુજરાત નો પ્રત્યેક નાગરિક શ્રમદાન સમયદાન થી જોડાઈ ને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે, વિકાસ જ પાણી નો આધાર છે. જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે. તેમને જણાવ્યું કે ગુજરાત આ જળ અભિયાન થી દેશ ને નવો રાહ બતાડશે.
સીએમ વિજયભાઈ રૂપાણી એ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટાપાયે વૃક્ષો વાવવા અને જળ અભિયાન દરમ્યાન નદીઓના કાંઠા ની સફાઈ કરી નદીઓ પુનર્જવિત કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સમુદ્ર ના ખારા પાણી ને ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવા લાયક મીઠા બનાવવા ના રાજ્ય સરકાર ના આયોજન તેમજ પાણીનો ફરી ઉપયોગ કરીને રી સાયકલ રિડ્યુસના અભિગમની પણ ભૂમિકા આપી હતી.