બનાસકાંઠા,
સરકાર દ્રારા બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમાને જોડતા માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે 14 કિલોમીટરના કામનું ટેન્ડર સરસ્વતી બીલકોન નામની કૉન્ટ્રાક્ટર એજન્સીને આપવામાં આવ્યું છે.
આ રોડમાં ભારે ગેરરીતીઓ થતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે. અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરની મિલી ભગતથી થઇ રહેલા આ રોડના કામમાં મેટલ ઉપર ડસ્ટ નાખવામાં આવેલ નથી રોડ બનવાની સાથે જ તુટવાની પુરી દહેશત છે.
વળી આ માર્ગ સરહદના પાકિસ્તાન બોર્ડરને જોડતો ઐતિહાસિક અને યાત્રાધામ હોવાના નાતે ભારતભરના લોકો અને વાહનોની ભારે અવરજવર રહે છે. આવા માર્ગનું ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાની પણ એક હદ હોય તેમ જણાવતાં કોન્ટ્રાક્ટર લાઇન સાથે સંકળાયેલા નાગરીકોએ જણાવ્યું હતું કે, સાઇડમાં આરસીસી કરવાને બદલે ચોકડીઓમાંથી કાચી માટી નાંખીને રોડને પહોળો કરવામાં આવેલ છે.
જો સરકાર દ્રારા આ બાબતની ગંભીર નોધ લેવામાં આવેતો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોઇ તેની પુરતી તપાસ થવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. થરાદના જેતડાથી રાહને જોડતા 20 કિલોમીટરનું કામ આજ કૉન્ટ્રાક્ટર કરે છે જે પણ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાની તથા તેમાં પણ આવી જ ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. આમ રોડની કામગીરીમાં મોટી લાલીયાવાડી ચાલતી હોવાના સરેઆમ આક્ષેપો ઉઠતાં પંથકમાં તંત્રની કામગીરીઓને લઇને ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.