નવી દિલ્હી,
મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ બાદ હવે RBIના ગવર્નર ઉર્જિત પટેલ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, RBI ગવર્નરના રાજીનામાં પાછળ તેઓનું કોઈ અંગત કારણને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઓગષ્ટ, ૨૦૧૬માં ઉર્જિત પટેલને RBIના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. તેઓને રઘુરામ રાજનની જગ્યાએ ગવર્નર બનાવાયા હતા.
RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, પરંતુ તેઓએ ૧ વર્ષ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
RBI અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ ચરમસીમાએ પહોચી ગયો હતો અને ત્યારબાદ આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણ હેઠળ મળેલા આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ના સેક્શન ૭નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા RBIને પાઠવવામાં હતો આવ્યો પત્ર
ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા જણાવ્યા અનુસાર, આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકાર દ્વારા ગયા એક કે બે અઠવાડિયામાં RBIના ગવર્નરને બે અલગ અલગ પત્રો પાઠવવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા પત્ર દ્વારા આરબીઆઈને નોન-બેન્કિંગ ફાઇન્નાશિયલ કંપનીઓ માટે લિક્વિદિટી, બેંકોને પૂંજી અને લઘુ તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ માટે લોન આપવાનો નિર્દેશ કર્યો હતો.
સરકારને શા માટે સેક્સન ૭ લગાવવાની પડી જરૂરત
કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેની ખટાશ વચ્ચે સેક્શન ૭નો ઉપયોગ કરવાની જરૂરત ત્યારે પડી જયારે દેશની કેટલીક વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓએ RBI દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલરને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો.