તાજેતરમાં પેટાચૂંટણીના પરિણામોએ કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જી દીધો છે. વિવેચકો અને નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકો ભલે રાજસ્થાન અને હિમાચલમાં કોંગ્રેસ મજબૂત બની હોવાનું અને ભાજપને આંચકો લાગ્યો હોય તેવું કહેતા હોય પરંતુ પશ્ચિમ બંગાળના પરિણામોનો અભ્યાસ કરશો તો જણાશે કે આ પરિણામો TMC ને મજબૂત બનાવનારા તો છે જ. મમતા બેનરજીની તાકાત વધારનારા છે. આ બધી બાબતોની સાથે ચાર બેઠકોની પેટાચૂંટણીના પરિણામોનો આંકડાકીય અભ્યાસ કરશો તો જણાશે કે TMC ને ફાયદો થયો છે તેના કરતાં ભાજપને નુકશાન વધુ થયું છે. આ ચાર બેઠકો પૈકી બે બેઠકો TMC ની હતી તો બે બેઠકો ભાજપની હતી . TMCએ ચારેય બેઠકો જીતી તેનો સીધો અર્થ એવો થાય કે બે બેઠકો તેણે ભાજપ પાસેથી આંચકી લીધી છે. એકબાજુથી ભાજપમાંથી TMC માં જવાનો સિલસિલો ચાલુ છે. તેવે સમયે લોકો દ્વારા અપાયેલો આ ચુકાદો એક અનોખું ઉદાહરણ પૂરું પાડનારો છે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે.
માર્ચ -એપ્રિલ માસમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં ૨૧૩ બેઠકો મેળવનાર ટી એમ સી પેટા ચૂંટણીમાં તમામ સાત બેઠકો જીતી છે.નંદીગ્રામમાં હારેલા મમતા બેનરજીએ ભવાનીપુરની બેઠક જીતી પોતાનો દબદબો જાળવ્યો છે.અત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તેની તાકાત વધી ને ૨૨૦ જેટલી થઈ ગઈ છે.આ એક સૌથી મોટી સિધ્ધી કહી શકાય.પરંતુ ભાજપને લાગેલો આંચકો સૌથી વધુ મોટો છે. રાજકીય વિશ્લેષકો કહે છે તે પ્રમાણે આને હાઈ વોલ્ટેજ આંચકો પણ કહી શકાય તેમ છે.આ વાત હવે પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં અને ત્યાંના ભાજપના કેટલાક આગેવાનો પણ કહી રહયા છે.
પશ્ચિમ બંગાળના પેટા ચૂંટણીના પરિણામો ટી એમ સીની તરફેણમાં આવ્યા છે.આ પરિણામો પર નજર નાખશો તો જણાશે કે ટી એમ સી એ જે ચાર બેઠકો જીતી છે તેમાં એક બેઠક ૧ લાખ ૬૪ હજાર કરતા વધુ મતે જ્યારે બીજી બે બેઠકોની સરસાઈ એક લાખ કરતા વધુ મત છે. જ્યારે ચોથી બેઠકની સરસાઈ ૬૯ હજાર મતની છે.આ સરસાઈ એક વાત પુરવાર કરે છે કે ટી એમ સી એ ભાજપને મોટી લપડાક લગાવી છે.ભાજપે જે બે બેઠકો ગુમાવી છે તે તેણે તાજેતરની ચૂંટણીમાં વીસ હજાર કરતા વધુ મતે જીતી હતી અને આ વખતે ભારે સરસાઈથી આ બેઠકો ગુમાવવી પડી છે.એટલું જ નહીં પરંતુ એક બેઠક પર ભાજપની ડિપોઝીટ પણ જપ્ત થઈ છે.આના કરતાં બીજી ચોંકાવનારી વાત એ છે કે આ ચારેય બેઠકના મતો નો સરવાળો માંડીએ તો ભાજપને માત્ર ૧૮ ટકા મત જ મળ્યા છે.જ્યારે અગાઉની ચૂંટણીમાં ભાજપને ૩૨ ટકા અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો ૪૦ ટકા કરતા વધુ મત મળ્યા હતા.જ્યારે આ સાતે સાત બેઠકો પર ભાજપને મળેલા મતની ટકાવારી ૧૮ ટકા થી વધતી નથી.આમ ભાજપને મતોની દ્રષ્ટિએ ૧૬ થી ૨૨ ટકાનો ગેરફાયદો થયો છે.ચૂંટણી વિષયક દ્રષ્ટી એ આ મોટું નુકસાન કેન્દ્રના સત્તાધારી પક્ષને થયું છે. આ બાબત વિચાર માગે તેવી છે.ચૂંટણીને લગતા કેટલાક નિષ્ણાતો ગણિત માંડે છે તે પ્રમાણે ભાજપના લોકસભાની ચૂંટણીના ગણિત બગાડી શકે છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભા અને સાત બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને જે મતો મળ્યા તે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી કરતા ઘણા ઓછા છે.મતદારોનો આ ઝોક અને ભાજપે જે આગેવાનોને ટી એમ સીમાંથી આયાત કરેલા તે પૈકી ૪૦ ટકા કરતા વધુ નેતાઓની ટી એમ સીમાં ઘર વાપસી થઈ ગઈ છે.આમાના કેટલાક નેતાઓ મજબૂત જનાધાર ધરાવનારા છે.તાજેતરની વિધાનસભા અને ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં કેન્દ્રના સત્તાધારી પક્ષને મળેલા મતોના વિશ્લેષણ પરથી એવું ગણિત નિષ્ણાતો માંડે છે કે ૨૦૧૯માં ભાજપને જે ૧૮ લોકસભા બેઠકો મળેલી તે મળી શકે નહિ ઘણા આગેવાનો તો એવો અંદાજ મૂકે છે કે જો આજ ટ્રેન્ડ લાંબો ચાલે તો ભાજપને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં માત્ર પાંચ આસપાસ બેઠકો મળી શકે તેમ છે.આ બાબત ભાજપ માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે.પેટાચૂંટણીના ટ્રેન્ડ મુજબ મતદાન થાય તો માત્ર બે કે ત્રણ બેઠકોથી સંતોષ માનવો પડે તેમ છે.આમ આ રાજ્યમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિનું સર્જન થઈ શકે છે.
આ બધા સંજોગો વચ્ચે બંગાળમાં ભાજપે દિલીપ ઘોષને હટાવી દઈ નવા પ્રમુખ મુક્યા પછી પણ સ્થિતિ સુધરી નથી.આ સંજોગોમાં ભાજપનું મોવડી મંડળ પ્રભારી તરીકે મમતા દીદીનો સામનો કરી શકે તેવા આક્રમક નેતાને ઉતારવા માટે પ્રયાસો કરે છે.અત્યારે જે નામોની ચર્ચા ચાલે છે તેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ મોખરે છે.સ્મૃતિ ઈરાની હિન્દી ઉપરાંત બંગાળી ભાષા પણ સારી રીતે બોલી શકતા હોવાથી તે અન્ય કોઈ નેતા કરતા વધુ અસરકારક પુરવાર થઇ શકે તેમ છે.ટૂંકમાં ભાજપે પશ્ચિમ બંગાળ માટે નવેસરથી નીતિ ઘડવી પડે તેવી હાલત છે.
બીજી બાજુ ભલે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીનું તેમના પક્ષમાં એકચક્રી શાસન હોવાનું કહેવાતું હોય પરંતુ તાજેતરમાં ટી એમ સી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને પક્ષમાં પાછા લેવાની જે નીતિ મમતા દીદીએ અપનાવી છે તેની સામે ધીમે ધીમે કચવાટ બહાર આવી રહયો છે.રજીબ બેનરજીને ટી એમ સીમા પરત લેવા સામે ટી એમ સીના સાંસદ કલ્યાણ બેનરજીએ એવો કટાક્ષ કર્યો છે કે ભવિષ્યમાં સુવેન્દુ અધિકારીને પણ પક્ષમાં પાછા લેવાય તો નવાઈ નહિ.તેથી ટી એમ સી ના આગેવાનો એ હવે આ આગેવાનો સામેના નિવેદનો પાછા ખેંચવા પડશે કે શું ?
જો કે ટી એમ સીના સુપ્રીમો મમતા બેનરજી અનેમહાસચિવ અભિષેક બેનરજી એમ કહીને પોતાના પક્ષના નારાજ થયેલા આગેવાનોને સમજાવવાના પ્રયાસ કરી રહયા છે કે એક રણનીતિના ભાગ રૂપે વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ છોડનારાઓને પાછા લેવાઈ રહયા છે.તેમને કોઈ ચાવીરૂપ હોદ્દા પક્ષ કે રાજ્ય સરકારમાં અપાશે નહિ.આ ઉપરાંત આ બન્ને આગેવાનો નારાજ નેતાઓને એવી પણ ખાતરી આપી રહયા છે કે કટોકટી કે પક્ષના પડકાર સમાન સમયગાળામાં વફાદાર રહેનારાઓને કોઈ અન્યાય કરાશે નહિ.ટૂંકમાં નારાજગી વધીને સપાટી પર આવે તે પહેલાં ટી એમ સીના મોવડીઓએ ડેમેજ થાય તે પહેલાં જ ડેમેજ કન્ટ્રોલ કવાયત શરૂ કરી છે.ટૂંકમાં ગુજરાતી કહેવત પ્રમાણે પાણી પહેલા પાળ બાંધવાની કામગીરી શરૂ કરી છે.આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જેવી નીતિ અપનાવી નથી. જો કે આ કવાયતની કેવી અસર થાય છે તે હવે જોવાનું રહે છે.
ટૂંકમાં કહીએ તો બન્ને પક્ષમાં સરખી સ્થિતિ તો નથીજ.તેમાંય લોકસભાની આગામી એટલે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા બંગાળ પર ઉત્તરપ્રદેશ જેટલું જ ધ્યાન કેંન્દ્રીત કરવું પડે તેમ છે.યુ પી બાદ બીજા નંબરે ગણાતા આ રાજ્યમાં શાસક પક્ષ ટી એમ સી એ પણ સાવધ રહેવું પડશે.જ્યારે મોટા પ્રમાણમાં જનધાર ગુમાવ્યા બાદ પોતાનું અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસ અને ડાબેરી મોરચો કેવી કવાયત કરે છે તે પણ જોવાનું રહે છે.
ક્રુઝ ડ્રગ્સ કેસ / કોણ છે સંજય સિંહ જે સમીર વાનખેડેને બદલે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરશે
ખાત્રજ / વેસ્ટ વોટરની ટેંક સાફ કરતા 5 મજૂરોના મોત, પરિવારમાં કલ્પાંત