ભુજનાં શણગાર સમાન હમીરસર તળાવમાં હાલ અછતનાં કારણે એક બુંદ પણ પાણી નથી. તેવામાં ખાલી પડેલા તળાવમાં ગાંડા બાવળો ઊગી નીકળ્યા છે. જે તે સમયે આ તળાવને કાંકરિયા તરીકે વિકસાવવાનો ભુજવાસીઓને વાયદો કરાવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રોજેકટ હાલમાં અભેરાઈએ ચડી ગયો છે. તળાવ પર આવેલો ભુજનો રાજાશાહી સમયનાં કૃષ્ણાજી પુલનાં બાંધકામનાં સળીયા બહાર આવી ગયા છે. હમીરસર તળાવમાં સમસ્યાઓનાં ભરડા મામલે પાલિકા નક્કર કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવી રહી હોવાનું સામે આવી રહ્યુ છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુજનાં ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ભુજનાં હમીરસર તળાવને કાંકરિયા જેવું વિકસાવવાની વાત દરેક ચર્ચામાં દોહરાવી હતી. રૂપિયા 66 કરોડનાં માતબર રકમનાં ખર્ચે હમીરસરને વિકસાવવાનો ભુજવાસીઓને વાયદો કરાયો હતો પરંતુ હાલમાં ખાલી પડેલા તળાવમાં સફાઈનાં પણ ઠેકાણા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. જે તે સમયે પાલિકાનાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ હમીરસરને કાંકરિયા તળાવ બનાવનારાનાં કાંકરા ખરી જશે તેવી વાત કહી હતી જે આજે સાચી પડી રહી છે.
વિપક્ષી નેતા રાજેન્દ્રસિહં જાડેજાએ શું કહ્યુ?
તેમણે કહ્યુ કે, 66 કરોડનાં હમીરસર પ્રોજેકટની વિગતોનાં ચલચિત્ર પણ અહી મુકવામાં આવ્યા નથી. હમીરસર પ્રોજેક્ટનાં નામે પે એન્ડ યુઝ શૌચાલય બનાવાયું જે હાલમાં બંધ છે, લેકવ્યુ અને ખેંગારબાગ પાસે 12 નવી દુકાનો બનાવાઈ પણ તેના શટર હજી ખુલ્યા નથી. ભાજપનાં નગરસેવકો આ દુકાનો પોતાના નામે કરાવવા તલપાપડ થતા હોવાનો આક્ષેપ વિપક્ષીનેતાએ કર્યો છે. અછતનાં કારણે સૂકા બનેલા હમીરસરની અંદર ઠેરઠેર ગાંડા બાવળો ઊગી નીકળ્યા છે પણ પાલિકા સફાઈ કરતી ન હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. અહી તળાવની ફરતે આવેલી લોખંડની ગ્રીલ હવે પડવા પર છે. વધુમાં પાળીઓનાં પણ ઠેકાણા નથી. હમીરસર પ્રોજેકટનાં ભાગરૂપે તળાવમાં આરસીસી સળીયા ઉભા કરાયા પણ હવે પ્રોજેકટ પર ચોકડી મારી દેવાઈ તો સળીયાનું શું કામ છે તે પણ સવાલ બન્યો છે. શહેરનાં હૃદય સમાન હમીરસરમાં સમસ્યાઓએ ભરડો લીધો છે પણ ભુજ પાલિકાનાં શાસકો અને અધિકારીઓ હજી પણ બેજવાબદારીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
આ બાબતે નગરપાલિકાનાં કારોબારી ચેરમેન ભરત રાણાએ જણાવ્યું કે, હમીરસર બ્યુટીફીકેશન પ્રોજેકટનાં એક ભાગનું કામ પૂર્ણ થયું છે. બીજા ભાગમાં તળાવની અંદર સિમેન્ટનાં પિલ્લર બનાવીને ટેકો ઉભો કરવામાં આવનાર હતો આ માટે સળિયા નખાતા ભુજની સંસ્થાએ કલેકટરમાં અરજી કરી હતી. સંસ્થાએ બ્યુટીફીકેશનનાં કામને તળાવમાં દબાણ થાય તેવું જણાવી અરજી કરી હતી. હકીકતમાં આ દબાણ નથી પિલ્લર ઉભા કરી સ્લેબ લેવાયા છે. આ મામલો હાલ કોર્ટનાં દ્વારે હોઈ કલેકટરે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવા આદેશ કર્યો છે. પ્રોજેકટ પેટે છ કરોડની ગ્રાંન્ટ મંજૂર થઈ હતી જે પૈકી ત્રણ કરોડ વપરાયા છે. તળાવમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા અને કચરા બાબતે જણાવ્યું કે, પ્રી મોન્સૂન કામગીરીમાં તળાવને આવરી લેવામાં આવ્યું છે. સાથે કહેવામાં આવ્યુ કે, કામગીરી અંતર્ગત તળાવમાં સફાઈ કરાશે.
ભુજ શહેરનું હૃદય મનાતું હમીરસર તળાવએ દરેક ભુજવાસીઓની ઓળખ છે. ભુજવાસીઓ પણ ઈચ્છે છે કે, હમીરસરનો વિકાસ થાય અને તળાવ સ્વચ્છ અને સુંદર રહે પણ પાલિકાની લાપરવાહીનાં કારણે સમયમાં વિલંબ થઇ રહ્યો હોય તેવુ સુત્રો જણાવી રહ્યા છે. દરરોજ સેંકડો લોકોની અવર જવર વાળા કૃષ્ણજી પુલ મામલે શાસકો માત્ર વાયદાઓ જ આપી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.