અમદાવાદ,
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે, ગત વર્ષે શહેરમાં સ્વાઇન ફ્લૂના 777 કેસ નોંધાયા હતા અને 2019ની શરૂઆતના 2 જ મહિનામાં 1000 કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, 20 જેટલા લોકોના સ્વાઇન ફ્લૂને કારણે મોત થઇ ગયા છે, માત્ર જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જ સ્વાઇન ફ્લૂના એક હજાર જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે, લોકોને સાવચેતીના પગલા લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યભરમાં શનિવારે એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના નવા 98 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ખાસ કરીને કચ્છના અનેક વિસ્તારોમાં સ્વાઇનનો કહેર વધુ દેખાઇ રહ્યો છે, એક જ દિવસમાં અમદાવાદમાં 26 કેસ નોંધાયા છે, સુરતમાં 19, વડોદરામાં 17 કેસ નોંધાયા છે, સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત નિપજ્યાં છે, વર્ષ 2019ના બે મહિનામાં રાજ્યમાં કુલ 2282 કેસ નોંધાયા છે, દર્દીઓને સિવિલ હોસ્પિટલ સહિત જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અપાઇ રહી છે.
અમદાવાદમાં વર્ષ 2015માં ફેબ્રુઆરી સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 1500 પોઝિટિવ કેસ હતા, વર્ષ 2016માં 73 કેસ, 2017માં માત્ર સાત જ કેસ નોંધાયા હતા, અર્બન હેલ્થ સેન્ટરોમાંથી ફ્રી દવાનું વિતરણ કરાઇ રહ્યું છે, તેમ છતાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે, અને હવે 1000 જેટલા લોકોને સ્વાઇન ફ્લૂ થતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે, ભેજવાળા વાતાવરણ અને ઠંડકમાં સ્વાઇન ફલૂનો વાયરસ એકથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે, જેથી લોકોને સ્વાઇન ફ્લૂ સામે જાગૃત કરાઇ રહ્યાં છે.