રાજ્યસભાની ચૂંટણીને લઇને બે ઉમેદવારના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે બાબુ દેસાઇ અને કેશરીદેવસિંહ ઝાલાના નામ જાહેર કર્યા છે.મળતી જાણકારી અનુસાર રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે દર વખતની જેમ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારવાનો નિયમ રાજ્યસભામાં પણ કાયમ રાખ્યો. બંને ઉમેદવારો આજે બપોરે 2:00 વાગે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્ર ભરશે.
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ત્રણ બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેમાં વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે.
જાણો કોણ છે બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ
બાબુભાઈ દેસાઈનો 1 જૂન 1957નો રોજ કરેજના ઉબરી ગામમાં જન્મ થયો છે. તેલ હાલ ઉંઝાના મક્તુપુરા ગામના વતની છે. તેમને ગોપાલક સમાજમાં સેવાકાર્યોને લીધે સમાજરત્નનું બિરુદ મળ્યું છે.જણાવીએ કે 2007માં કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.તેમને ઓલ્ડ SSC સુધીનો અભ્યાસ કર્યો છે.દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.
જાણો કોણ છે કેસરીસિંહ ઝાલા
વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો.
કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે.
તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014,2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.
કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે.
કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપનો કબજો યથાવત રહેશે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત
આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી