@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ગાઝીપુરમાં એટલે કે દિલ્હી સરહદે યુપીની નજીકના વિસ્તારમાં આંદોલનકારી ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ખૂબ આંચકા લાગ્યા. મોટાભાગના જિલ્લાઓમાં સપા સત્તા પર કે સત્તાની નજીક પહોંચી ગયો. આ પહેલા સ્નાતક અને શિક્ષકોના મતદાર વિસ્તારોવાળી ચૂંટણીમાં પણ ભાજપની હાર થઈ હતી. આ બન્ને ચૂંટણી દરમિયાન વડાપ્રધાન સંરક્ષણપ્રધાન અને ખુદ યોગી આદિત્યનાથના વિસ્તારમાં ભાજપને આંચકા લાગ્યા. કેન્દ્ર મોવડી મંડળ પાસે રજૂઆતોનો દોર ચલાવીને યોગી આદિત્યનાથે પોતાનું ધાર્યુ કરાવી પોતાને યોગ્ય લાગ્યો તેવો ખેલ પાડી દીધો છે. સંઘે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કે.પી. મૌર્ય વચ્ચે સમાધાનનો પ્રયાસકર્યો છે. મોદીએ અમીત શાહને યુપીની ઘણી જવાબદારી સોંપી છે. પણ સાવચેતીપૂર્વક આગળ વધવા અને કોઈપણ ભોગે ભાજપન સત્તા ઉત્તરપ્રદેશમાં ટકવી જોઈએ તેવો વ્યૂહ વડાપ્રધાન મોદી પોતે ગોઠવી રહ્યા છે.
યુપીના સવર્ણ મતદારો યોગી આદિત્યનાથથી સંતુષ્ઠ નથી. એટલે એક જમાનામાં કોંગ્રેસના હાથ પગ સમાન ગણાતા અને બ્રહ્મસમાજ પર પ્રભુત્વ ધરાવતા નેતા જતિન પ્રસાદને ભાજપમાં પ્રવેશ આપીને વિધાન પરિષદના સભ્ય બનાવી દીધા છે અને તેમને રાજ્યના પ્રધાનમંડળમાં મંત્રી બનાવવાનો તખ્તો ગોઠવ્યો છે. જ્યારે આઈ.એમ.એમ.ના નેતા અને બિહાર સહિત ઘણા સ્થળોએ ભજવેલી પોતાની ભૂમિકાના કારણે ભાજપની ‘બી’ ટીમ તરીકેનું ઉપનામ મેળવનાર ઓવૈસીએ યુપીમાં ૧૦૦ બેઠકો લડવાની જાહેરાત કરી તેની પાછળ સપા બસપા અને કોંગ્રેસને નુકસાન કરવાનો છે. જાે કે ત્યાં હાલના તબક્કે તો કોંગ્રેસ ચિત્રમાં જ નથી તેવી હાલત છે. જાે કે મોદીના મત વિસ્તારમાં વિદ્યાર્થી પાંખે થોડું પાણી બતાવ્યું છે તે એક હકિકત છે. છતાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુ સારો દેખાવ કરે તેવી શક્યતા સાવ ઓછી કે બીજા અર્થમાં કહો તો નહિવત છે.
જાે કે ખેડૂત આંદોલનની તાકાતનો પરચો ભાજપને તાજેતરની ચૂંટણીમાં મળ્યો છે. ભાજપે યુપીમાં સર્વે કરાવ્યો ત્યારે તેમાં ભાજપની સત્તા જઈ રહી હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો. જાે કે ત્યારબાદ ભાજપના મિડિયા વિભાગે તરત એવી સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ સર્વે થયો જ નથી. જે હોય તે પણ ભાજપને એ વાતનું ભાન થઈ ગયું છે કે માત્ર રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતી શકાશે નહિ. ત્યાં તો બીજા ઘણા પ્રકારના મતદારો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટીમ મારફત યુપીની તમામ ૪૦૦ બેઠકો અંગેનો સર્વે કરાવી નબળી મનાતી ૨૫૦થી વધુ બેઠકો પર વધુ ધ્યાન દેવાનું નક્કી કર્યું છે. ત્યાં સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે વધુમાં વધુ મત વિભાજન થાય અને અમુક બેઠકોના ગણિત ઓવૈસી પણ બગાડી શકે તેવું તો ચિત્ર છે જ. પણ અખબારી અહેવાલો પ્રમાણે વડાપ્રધાન મોદીએ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સીદીકી અને તેની ટીમને બોલાવને યુપીની તમામ બેઠકો પર ભાજપને ઓછામાં ઓછા ૫૦૦૦ મુસ્લિમો જે તે વિધાનસભા મતવિસ્તારોમાં મત આપે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. મુસ્લિમોની વધુ વસતિવાળી બેઠકો પર ભાજપને ઓછામાં ઓછા દસ હજાર મુસ્લિમ મતદારો તો મત આપે જ તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. મુસ્લિમ મતવિસ્તારોમાં જઈ તીન તલ્લાક બીલ અને કેન્દ્ર સરકારે લઘુમતી સમાજ માટે જે યોજનાઓ અમલી બનાવી છે તેનો પૂરતો ખ્યાલ આપવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મુસ્લિમોના કલ્યાણ અંગેની વધુને વધુ યોજનાઓ જાહેર કરવા માટે તાકિદ કરવામાં આવી છે.
આ અંગે નોંધ લઈને ગુજરાતના એક અખબારે તો લખ્યું છે કે ખેડૂત આંદોલન બાદ પશ્ચિમ યુપી સહિતના યુપીના ઘણા વિસ્તારોમાં ખેડૂતોના મતો ભાજપને મળે તેવી શક્યતા ઓછી છે. ભાવવધારાના કારણે મધ્યમ વર્ગનો મોટાભાગના મતદારો ધર્મના નામે ભાજપને આ વખતે મત આપે તેવી શક્યતા ઓછી છે. એટલા માટે ભાજપે મુસ્લિમોના મતો મેળવવા વ્યૂહ ગોઠવ્યો છે અને લઘુમતી સમાજના મત અમને ન ખપે તેવી જનસંઘ વખતથી ચાલી આવતી અને ઘણા લોકો હિંદુ રાષ્ટ્ર અને રામ રાજ્યની વાતોના કારણે ભાજપને પહેલી પસંદ આપે છે તેવા મતદારો ભૂતકાળમાં જેમ કોંગ્રેસથી વિમૂખ થઈ ગયા હતા તેમ ભાજપથી દૂર થઈ શકે છે તેવો ભાજપના મોવડીઓને સતાવે છે. યુપીના તમામ જિલ્લાઓમાં લઘુમતી મોરચાના આગેવાનોને માત્રને માત્ર મુસ્લિમોના મતો મેળવવાનો લક્ષ્યાંક અપાયો છે. એટલું જ નહિ પણ મુસ્લિમ મતદારો જે ૧૦૦ થી વધુ બેઠકો પર ૨૦ થી ૪૦ ટકાથી વધુ સંખ્યામાં છે તેવી બેઠકો પર યોગીના નામને બદલે મોદીના નામે જ પ્રચાર કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.
મુસ્લિમોના સહારે ચૂંટણી જીતવાની ભાજપ અને મોદીની યોજનાવાળા સમાચારો જાે સાચા હોય તો ભાજપે સત્તા જાળવવા પોતાના વર્ષો જુના સિધ્ધાંતોનું ઓઢણું ફગાવી દીધું છે. જમ્મુ કાશ્મીરમાં જેમ મહેબુબા મુફ્તીને ચાર વર્ષ સુધી મુખ્યમં પદે ટકાવી રાખવામાં ભૂમિકા ભજવી જમ્મુ કાશ્મીરને જાળવી રાખ્યું હતું તેવી જ રીતે હવે યુપીને જાળવવા માટે મુસ્લીમ મતબેંક ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેવું કહી શકાય. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ કે કોઈપણ ભોગે ભાજપે સત્તા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.