અમદાવાદ: સોનાના ભાવમાં તાજેતરના સમયમાં આવેલી સારી એવી તેજીને પગલે ભાવ ખાસ્સા વધી ગયા છે. તેને કારણે આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની ખરીદી પર અસર થાય તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ જ પ્રકારે બજારમાં નરમાઈ ચાલુ રહેશે તો સતત બીજા વર્ષે પણ સોનામાં ધનતેરસના દિવસે નબળું વેચાણ જોવા મળી શકે છે. ગત વર્ષે 2017માં ધનતેરસના તહેવારમાં સોનું 2016ની સરખામણીમાં 30 ટકા ગગડી ગયું હતું. જોકે ગત વર્ષ ગોલ્ડ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું છે. નવેમ્બર-2016માં નોટબંધી અને જુલાઈથી જીએસટીના અમલ જેવા કારણોથી સોનામાં નરમાઈ જોવા મળી હતી.
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ધનતેરસે સોનામાં વધુ ખરીદીની મને અપેક્ષા નથી, કારણ કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સારું જોવા મળતું નથી. બજારમાં પણ નાણાકીય તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે સોનાનું વેચાણ 5 થી 10 ટકા જેટલું ઘટે તેવી સંભાવના છે. એટલું જ નહિ કદાચ બહુ બહુ તો ગત વર્ષ જેટલું જ વેચાણ જોવા મળી શકે.
ધનતેરસનું પર્વ સોનું-ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવા માટે ખૂબ જ શુકનવંતો દિવસ માનવામાં આવે છે. ગત વર્ષે સોનાના ભાવ ધનતેરસ વખતે 10 ગ્રામના 30,000 રુપિયા હતા. જયારે આ વખતે શનિવારે તેના ભાવ વધીને 32,550 રુપિયા થઈ ગયા હતા. વૈશ્વિક સ્તર પર સોનું ન્યૂયોર્કમાં શુક્રવારે 1233.80 ઔંસ નોંધાયું હતું.
છેલ્લાં કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત આગેકૂચ જોવા મળી રહી છે. તાજેતરમાં જ સોનાએ ઘણાં લાંબા સમય પછી રૂપિયા 33,000નું લેવલ પણ પાર કરી દીધું હતું. આમ છતાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સોનાને સલામત રોકાણના વિકલ્પ તરીકે ખૂબ પસંદ કરીને લોકો તેની ખરીદી કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે દશેરાના તહેવાર દરમિયાન પણ સોના ચાંદીના બિઝનેસ પર પણ માઠી અસર પડી હતી. દીવાળીના તહેવારોમાં સોનાની માંગ સામાન્ય રીતે વધતી હોય તેવું જોવા મળે છે. આ વર્ષે તો ગત વર્ષ જેટલું પણ સોના-ચાંદીનું વેચાણ થાય તો પણ સારું રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે નોટબંધીના આઘાતને હજી જેમ્સ-જ્વેલરી ઉદ્યાેગ પચાવી શક્યો નથી. કારણ કે 70 ટકા એકમો બિનસંગઠીત ક્ષેત્રમાંથી છે. અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીને કારણે તમામ ઉદ્યાેગોને અને ખાસ કરીને સંગઠિત રિટેલ જ્વેલરી સેક્ટરને નાેંધપાત્ર અસર થઈ હતી..