નવી દિલ્હી,
દેશની સૌથી મોટી સાર્વજનિક બેન્કોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્ય હવે પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અરુંધતિ ભટ્ટાચાર્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડમાં ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે શામેલ થયા છે.
દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અરુંધતિ ભટ્ટાચાર્યના શામેલ થવાની માહિતી કંપની દ્વારા ૧૭ ઓક્ટોબર દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જ તેઓ આગામી ૫ વર્ષ સુધી રિલાયન્સના બોર્ડમાં રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ જ તેઓને એક આંતરરાષ્ટ્રીય ઇક્વિટી કંપની ક્રિસકેપિટલ એડવાઈઝર્સ LLPમાં એક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા.
આ પહેલા વર્ષ ૧૯૭૭માં અરુંધતિ ભટ્ટાચાર્ય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર તરીકે નિયુક્ત શામેલ થયા હતા અને ૨૦૧૩માં તેઓ SBI નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા બન્યા હતા. ૨૦૧૩ બાદ તેઓ ચાર વર્ષ સુધી SBIના ચેરપર્સન રહ્યા હતા અને ત્યારબાદ ઓક્ટોબર, ૨૦૧૭માં અરુંધતિએ રાજીનામું આપ્યું હતું.
મહત્વનું છે કે, ૪૦ વર્ષના કાર્યકાળ દરમિયાન અરુંધતિ ભટ્ટાચાર્ય SBIમાં મહત્વના પદ પર કામ કરી ચુક્યા છે. સ્ટેટ બેન્કની ચીફ બનતા પહેલા તેઓ વિદેશી મુદ્રા, ટ્રેજરી, રિટેલ બેન્કિંગ, HR તેમજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગોમાં પ્રમુખ રહ્યા હતા.
આ ઉપરાંત અરુંધતિ ભટ્ટાચાર્યના વડપણ હેઠળ જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ૬ સંલગ્ન બેંકો સાથે મર્જર પૂરું કરવામાં આવ્યું હતું.