આજે ગુજરાતીઓ જે આતુરતાથી રાહ જોઇને બેઠા હતા તે સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ હવે આખરી તબક્કામાં છે. ત્યારે પ્રોજેક્ટ અંતર્ગત સી-પ્લેન માલદીવનાં માલેથી રવાના થયું છે જે આજે ગુજરાત આવી પહોંચશે.
ભારતનું સૌપ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વનાં લોકોને અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લઇ જશે. જણાવી દઇએ કે, 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. તે દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. PM મોદી સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે.
નોંધનીય છે કે, સી પ્લેને રવિવારે સવારે માલદીવનાં માલે ખાતેથી ટેક્ ઓફ કર્યું હતું. આ પછી સી પ્લેન રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી ખાતે પહોંચ્યું હતું. જ્યાં ઈંધણ પુરાવ્યા બાદ સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું. હવે સોમવારે સવારે સી પ્લેન ગોવાથી અમદાવાદ પહોંચશે. મળતી માહિતી પ્રમાણે, સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે. ત્યારે સામાન્ય માણસ આ સીપ્લેનમાં કઇ રીતે બેસી શકશે એ પ્રશ્ન બધાને અકળાવશે. મહત્વનું છે કે, મલેશિયાથી રવાના થયેલા સી પ્લેન માટેના એરક્રાફ્ટમાં 6 ક્રુ મેમ્બર્સ છે.