ઘણીવાર બાળકો એકલાં રમતા રમતાં ટાંકીમાં પડી જતા હોય છે,ખુલ્લાં બોરમાં પડી જતા હોય છે કે પછી તળાવમાં ડુબી જતા હોય છે. બાળકોને એકલાં રમવા માટે ખુલ્લા મુકતા માતા પિતા માટે ચોંકવારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં બંધ હાલતમાં પડી રહેલી એક કારમાં ફસાઇ જવાથી એક બાળકનું મોત થયું છે.
શહેરનાં બાપુનગર હીરાવાડી પાસે આવેલાં પાયલ પ્લાઝા પાસે એક રેડ કલરની મારૂતિ સુઝુકી કાર છેલ્લાં 15 દિવસથી વપરાશ વગરની પડી રહી હતી. પાયલ પ્લાઝાની બાજુમાં રહેતા પરિવારનો 5 વર્ષનો અક્ષય નામનો બાળક આ કારમાં અજાણતા જતો રહ્યો હતો. અક્ષય અંદર જતાં જ કારનો દરવાજો લોક થઈ ગયો હતો. જે બાદ કારની અંદર શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેનું મોત નિપજ્યું હતું.
બીજી તરફ અક્ષય લાંબા સમયથી ઘરે ન આવતા તેના માતા પિતાએ તેની શોધખોળ ચાલુ કરી હતી. માતા-પિતાને બંધ કારમાંથી મૃતપાય અવસ્થામાં અક્ષય મળી આવ્યો હતો. માતા-પિતાએ કારનો કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો હતો અને બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કાર પાયલ પ્લાઝાનાં મકાન નંબર 7-8નાં માલિક કાંતિભાઇ પટેલની છે. જેઓ અત્યારે ચિલોડા રહે છે. અને આ બંને મકાનો ભાડે આપેલા છે. જો કે, આ ઘટનાની જાણ થતાં જ આજે શુક્રવારે વહેલી સવારે કાર માલિક દ્વારા છોટા હાથી લઇને ટોઇંગ કરી કારને સ્થળ ઉપરથી હટાવી લેવામાં આવી હતી.