અમદાવાદમાં લોકોના ઘરમાં ઘરઘાટી તરીકે મોટા ભાગે રાજસ્થાની પરિવારના લોકો કામ કરતાં હોય છે. પોલીસ તંત્ર દ્વારા અવાર નવાર સૂચના પણ આપવામાં આવે છે કે, ઘરઘાટીનાં ફોટા સહિતની તમામ વિગતો નજીકનાં પોલીસ મથકે જમા કરાવવી જરૂરી છે. છતાંય લોકો દ્વારા ક્યાંક ને કયાંક આળસ કે કોઈ ને કોઈ કારણોસર નિયમોનું પાલન કરવામાં ચૂક થઇ જાય છે અને છેવટે તેમણે તેની મોટી કિમત ચૂકવવાનો વારો આવે છે.
હાલમાં જ લોકોના ઘરમાં કામ કરીને ઘરમાંથી કિમતી માલસામાનની ચોરી કરી ફરાર થઇ જતા રાજસ્થાનનાં એક જ પરિવારનાં સાત લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાંચે આ પરિવાર પાસેથી સોના ચાંદીનાં દાગીના અને મોબાઈલ સહિતનો 5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નિકોલમાં શુકન ચોકડી પાસેથી મૂળ રાજસ્થાનના બાંસવાડાનાં બડા કોટડા ગામનાં પરિવારનાં સાત સભ્યોને ઝડપી લીધા હતા અને તમામ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા છ મહીનાથી અમદાવાદમાં અવર જવર કરતાં અને અલગ અલગ વિસ્તારમાં જઇને ફ્લેટો અને સોસાયટીમાં જ્યાં ઘરઘાટીની જરૂર હોય ત્યાં નોકરી પર રહેતા હતાં. જ્યારે ઘરનાં સભ્યો હાજર ન હોય તેવા સમયે ઘરમાંથી કિંમતી દાગીના તેમજ રોકડની ચોરી કરીને પલાયન થઇ જતાં હતાં.
અમદાવાદમાં તેમણે સોલા, ચાંદખેડા તેમજ શાહીબાગ વિસ્તારોમાં આ જ રીતે ચોરી કરી છે. આ આરોપીઓએ અગાઉ બે વર્ષ સુધી મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં પણ ઘરઘાટી તરીકે કામ કર્યું હોવાનું ખુલ્યુ છે. તેમજ આરોપી રાજુ કીરે અગાઉ ઇન્દોરમાં ઘરઘાટી તરીકે રહીને ચોરી કરી હતી. જે ગુનામાં તેની ધરપકડ થઇ હતી. હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે તેમણે અન્ય કઇ કઇ જગ્યાએ ચોરી કરી છે તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.