નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લાંચ કાંડમાં ફસાયેલી તપાસ એર્જ્ન્સી CBIના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે.
બીજી બાજુ બુધવારે આ મામલે મોદી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને CBI ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે. જયારે નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી છે.
જાણો, દેશની ટોચની તપાસ એજન્સી CBIના બે અધિકારીઓ વચ્ચે ક્યારે શરુ થયો હતો આ વિવાદ :
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે આ વિવાદ ઓક્ટોબર, ૨૦૧૭માં શરુ થયો હતો. હકીકતમાં, ૧૯૭૯ કેડર બેચના IPS અધિકારી આલોક વર્માને ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ CBIના ચીફ બનાવવામાં આવ્યા હતા.
થોડાક સમય બાદ જ મોદી સરકાર દ્વારા ૧૯૮૪ ગુજરાત કેડર બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને પણ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
જો કે ત્યારબાદ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ટક્કર ત્યારે સામે આવી જયારે ઓકટોબર, ૨૦૧૭માં જયારે આલોક વર્માએ CVC (ચીફ વિજીલન્સ કમીશન)ના નેતૃત્વવાળી પાંચ સભ્યોની પેનલની બેઠકમાં આસ્થાનાને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રમોટ કરવા પર તેઓએ આપત્તિ જતાવી હતી.
CBI ચીફ આલોક વર્માનું કહ્યું હતું કે, અધિકારીઓના ઇન્ડકશનને લઇ તેઓ દ્વારા કરવામાં આવેલી વિચારણાને અસ્થાનાને બગાડી નાખી હતી.
આ ઉપરાંત તેઓએ આ આરોપ પણ લગાવ્યા હતા કે, સ્ટર્લિંગ બાયોટેકના ગોટાળામાં પણ રાકેશ અસ્થાનાની ભૂમિકાને કારણે CBI શંકાના ઘેરામાં આવી હતી.
આલોક વર્મા દ્વારા કરવામાં આવેલી આ આપત્તિઓને CVC પેનલ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને રાકેશ અસ્થાનાનને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પ્રમોટ કર્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અસ્થાનાને ક્લીન ચીટ આપવામાં આવી હતી.
જો કે ત્યારબાદ આ વાંકયુદ્ધ ત્યારે આગળ વધી ગયું જ્યારે જુલાઈમાં CVC દ્વારા CBIમાં પ્રમોશન આપીને અસ્થાનાને આ એજન્સીમાં નંબર ૨ કહીને બોલાવવામાં આવ્યા.
જયારે રાકેશ અસ્થાનાની નંબર ૨ પોઝીશનની વાત આલોક વર્માને ખબર પડી તો તેઓએ CVCને લખ્યું હતું કે, પોતાની તરફથી મિટિંગમાં શામેલ થવા માટે અસ્થાનાને અધિકૃત કર્યા નથી.
ત્યારબાદ ૨૪ ઓગષ્ટના રોજ રાકેશ અસ્થાનાએ CVC અને કેબિનેટ સચિવને વર્મા અને તેઓના નિકટત્તમ એ કે શર્મા વિરુધ કથિત રીતે ભ્રષ્ટાચારની વિગતો આપી હતી.
અસ્થાનાએ દાવો કર્યો હતો કે, હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાએ વર્માને બે કરોડ રૂપિયા એટલા માટે આપ્યા કે જેથી મોઈન કુરૈશી કેસમાં બચી શકે.
ગત સપ્તાહે અસ્થાના દ્વારા વધુ એકવાર CVC અને કેબિનેટ સચિવને લખ્યું હતું કે, તેઓ સનાની ધરપકડ ઈચ્છી રહ્યા છે, પરંતુ આલોક વર્મા દ્વારા આ પ્રસ્તાવને ફગાવવામાં આવ્યો છે.
રાકેશ અસ્થાનાએ દાવો કર્યો હતો કે, ફેબ્રુઆરીમાં તેઓએ સનાની પૂછપરછ કરી હતી ત્યારે આલોક વર્માએ તેઓને ફોન કરીને રોકાવી દીધી હતી.
ત્યારબાદ આલોક વર્માએ અસ્થાનાના ઘણા મહત્વપૂર્ણ મામલાઓ પાછા લઈને એ કે શર્માને આપી દીધા હતા.સાથે સાથે અસ્થાનાના સ્ટાફની બદલી કરાઈ હતી.
CBI દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ૪ ઓક્ટોબરના રોજ સનાની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું હતું કે, તેને રાકેશ અસ્થાનાને ૩ કરોડ રૂપિયા આપ્યા હતા.
જો કે ત્યારબાદ ૧૫ ઓક્ટોબરના રોજ CBI દ્વારા રાકેશ અસ્થાના સામે લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.