Vadodara News: વડોદરાની નામાંકિત ટ્રી હાઉસ શાળાને CBSEએ નોટિસ આપી. શહેરના અટલાદરા વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ શાળાના સંચાલકોને સરકારી તંત્રએ નોટિસ ફટકારતા 30 દિવસમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી. શાળાની મિલકત અને વેચાણ તેમજ એગ્રીમેન્ટની તમામ પ્રક્રિયા તંત્રને વિશ્વાસમાં લીધા વિના કરી હોવાનો ટ્રી હાઉસ શાળા પર આક્ષેપ કરતી નોટીસ આપવામાં આવી છે.
અટલાદરા વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસમાં થોડા સમય બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે શાળા સંચાલકોને નોટિસ મળતા શિક્ષકો સહિત વાલીઓ પણ મૂંઝાયા છે. જણાવી દઈએ કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના એફીલેશન અંતર્ગત ટ્રી હાઉસ હાઈસ્કૂલની નોંધણી થયેલ છે. આ એફિલેશન મુજબ શાળાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. શાળાના વેચાણ કે અન્ય કોઈ પ્રક્રિયા કરી હોવાનું CBSEના ધ્યાનમાં આવ્યું.
ટ્રી હાઉસની શાળાની વિગતો ધ્યાને પડતા CBSE બોર્ડ દ્વારા ગત 5 ડિસેમ્બરે ટ્રી હાઉસ શાળાને નોટિસ આપવામાં આવી. અને આગામી 30 દિવસમાં શાળા મેનેજમેન્ટને CBSEએ આ મામલે ખુલાસો કરી જવાબ આપવા કહ્યું. બોર્ડનું કહેવું છે કે શાળાએ સરકારી વિભાગ સાથે કરેલ કરારનો ભંગ કર્યો છે. તારીખ 31 માર્ચ 2017ના સમયગાળાથી CBSE સાથે કરેલ એફિલેશન મુજબ ટ્રી હાઉસ શાળા કરાર હેઠળ સંકળાયેલ છે. આથી શાળાએ CBSEના કાયદા તેમજ નિયમોનું પાલન કરવું જરૂરી છે. CBSEના ધ્યાનમાં ટ્રી હાઉસ શાળાએ રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી સાથે કેટલાક વેચાણ દસ્તાવેજ કર્યા હોવાનું માલુમ પડ્યું છે. આ મામલાને લઈને CBSEએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા કહ્યું.
જણાવી દઈએ કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ટ્રી હાઉસ સંસ્થા હેઠળ અનેક શાળા તથા હાઈસ્કૂલ છે. આગામી મહિનામાં અનેક CBSE શાળાઓમાં એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે. ટ્રી હાઉસ સંસ્થાનો વ્યાપ વધી રહ્યો છે અને ગુજરાત ઉપરાંત અનેક સ્થાનો પર શાળાઓની શરૂ થઈ છે. ખાસ કરીને નાના બાળકો માટે વાલીઓ ટ્રી હાઉસ પર પસંદગી ઉતારવા લાગ્યા છે. જો કે એડમિશનની પ્રક્રિયા ટાણે જ શાળા સંચાલકોને નોટિસ ફટકારાતા વાલીઓ પણ ચિંતિત થયા છે.
આ પણ વાંચો: સુરતના વરેલીમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
આ પણ વાંચો: સુરત પોલીસની સફળ કામગીરી, મહિલાને આપઘાતના પ્રયાસથી બચાવી
આ પણ વાંચો: સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત
