જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા સોંપો પડી ગયો છે. મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામમાં રહેતા કોળી નીતિન જગદીશ પરમાર નામના યુવકે રાત્રે 2.30 પહેલા કોઇ પણ સમયે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી.
જેમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી) અને ભનું મકન કવા (રહે. પ્રાચી)ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’
સુસાઈડ નોટ મ અનુસાર, વિમલ કાના ચુડાસમા (ધારાસભ્ય-સોમનાથ), મનુભાઇ મકન કવા (પ્રાચી) તથા ભનુ મકાન કવા (પ્રાચી) ના હિસાબે મને માનસીક ત્રાસ અને મને મારી નાખવાની ધમકી આપે છે. જેથી હું ફાંસી ખાવ છું, જીવન ટુંકાવું છું. મારૂ મરવાનું કારણ આ ત્રણ જણા છે. જે મે ઉપર લેખલ છે. મારી સહી કરૂ છું.
ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો વિમલ ચુડાસમાએ યોગ્ય તપાસ કરવા માગ કરી છે. આ સાથે જ સ્યુસાઈડ નોટને ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી મૃતક સાથે તેમનો કોઈ સબંધ ન હોવાનું જણાવ્યું છે.
આ કાગળમાં મરનારની આખા પાનામાં છ થી સાત સહી કરી છે અને તા. 29-10-2023 લખ્યું છે. ચોરવાડ ગામમાં થતી ચર્ચા મુજબ આત્મહત્યા કરનાર યુવાન ભૂતકાળમાં વિમલભાઇ સાથે કામ કરતો હતો. ત્યારે બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયો હતો. યુવકની આત્મહત્યાને લઇ ગામમાં અનેક ચર્ચા ચાલી રહી છે.
હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને જામનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલ છે. પોલીસ વિભાગની દરેક બ્રાંચો આવી પહોંચી હતી. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
આ પણ વાંચોઃ Murder/ભાવનગરમાં લુખ્ખાતત્વો બેફામ, રોડ પર છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા
આ પણ વાંચોઃ Ahmedabad/રાજકોટના વેપારીનું અમદાવાદમાંથી અપહરણ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચોઃ Surat/સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ