મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને “વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨”ને સર્વસ્પર્શી બનાવવા અને તેના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, આદિજાતિ મંત્રીગણપતભાઇ વસાવા અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર પણ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-૨ આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આદિજાતિના ૧૪ જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચન કર્યું હતું.આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવ, સચિવ, નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આદિજાતિ વિભાગના સચિવ ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-૨નું વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.