Surat News : ગેંગરેપના આરોપી ભાજપના આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કાર્યકરોએ પોલીસ વાન પર ચઢી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહને પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ લઈને પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની વાન પર ચઢી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું,
જેમાં કાર્યકર્તાઓનાં કપડાં પણ ફાટ્યાં હતાં. પોલીસે વિરોધ નોંધાવી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહની પોલીસે 19 મે, 2025ના રોજ ધરપકડ કરી હતી. એ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે બીજી બાજુ આરોપી આદિત્ય ઉપાધ્યાયના ગેરકાયદે નોનવેજના ઢાબા પર તંત્ર દ્વારા બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું.
ત્યારે આજે આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં જેલ મોકલવા માટે કોર્ટ લઈ જઈ રહી હતી, ત્યારે કોર્ટની બહાર યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊગ્ર વિરોધ કર્યો હતો. ભારે પોલીસ-બંદોબસ્ત હોવા છતાં યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પોલીસ વાનના આગળ આવ્યા અને વાનના બોનેટ પર ચઢી ગયા હતા.પોલીસે કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ખેંચીને દૂર લઈ ગયા હતા. આ વિરોધનાં દૃશ્યો વચ્ચે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓનાં કપડાં પણ ફાટી ગયાં હતાં.
આખરે પોલીસે વિરોધ કરનારા કુલ 8 યુવક કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી હતી. પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ “BJP એટલે બળાત્કારી જલસા પાર્ટી” લખેલાં પોસ્ટરો પ્રદર્શિત કરીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને કડક સજા કરવાની માગણી ઉઠાવી હતી. જણાવી દઈએ કે આ કેસમાં હાલ સુધી હોટલમાલિક અને મેડિકલ સ્ટોરના સંચાલક સહિત અન્ય કેટલાક લોકોને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર, આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ વેડરોડ વિસ્તારની યુવતીને બીચ પર લઈ ગયા હતા, જ્યાં તેને ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પિવડાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીડિતાની તબિયત બગડી ગઈ હતી. એ જ હાલતમાં યુવતીને જહાંગીરપુરાની હોટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બંને આરોપીએ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હતો.આ બનાવ અંગે ફરિયાદ પછી બંનેને પોલીસે ઝડપીને જહાંગીરપુરા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આદિત્ય ઉપાધ્યાય ભાજપ યુવા મોરચાનો કાર્યકર અને વોર્ડ નં. 8નો વોર્ડ પ્રમુખ છે. ત્યાર બાદ તાત્કાલિક અસરથી પાર્ટી દ્વારા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ
