પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં પંચાયત પ્રધાનના ફરમાન બાદ વિવાદ સર્જાયો છે. પંચાયત પ્રમુખે જારી કરેલા ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના વફાદાર રહેનારાઓને જ સરકારની યોજના હેઠળ નોકરી મળશે. નોંધનીય છે કે પંચાયત પ્રધાન અહીં સરકારી યોજના હેઠળ 100 દિવસની નોકરીની વાત કરી રહ્યા હતા.
ભંગરમાં ભોગાલી -2 પંચાયતના પ્રમુખ મોદ્દસીર હસને કહ્યું કે, જેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય સેક્યુલર મોરચા (આઈએસએફ) માટે કામ કર્યું હતું તેઓએ ટીએમસી પ્રત્યે વફાદારી બતાવવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ.પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિએ અન્ય પાર્ટી માટે કામ કરી રહ્યો છે તો તેણે સત્તાપાર્ટીની સામે આત્મસમર્પણ કરવું પડશે તમારે સરકારી યોજનાની નોકરી જોતી હોય તો.
આ સમગ્ર મામલે આઈએસએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા કિસ્સાઓમાં રાજકીય ઝુકાવ એ માપદંડ ન હોવો જોઈએ. ભંગારના ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, પ્રતિનિધિઓએ રાજકીય ધોરણોથી ઉપર ઉતરીને બધા માટે કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભારે હિંસા થઈ હતી. આ હિંસા મુખ્યત્વે ટીએમસી અને ભાજપ વચ્ચે થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, મિલકતને નોંધપાત્ર નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બંગાળ સરકારને હિંસા દરમિયાન બેઘર બનેલા લોકોના પુનર્વસન માટેની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.