કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં ઘટાડો થયો હોઈ શકે છે, પરંતુ ચેપ ફેલાવાનું જોખમ હજી પણ અકબંધ છે. આવી સ્થિતિમાં, વેક્સીન એ કોરોના વાયરસ સામે એક માત્ર આશાનું કિરણ છે. આજ-દિન સુધીનાં ટ્રાયલમાં મળેલા સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને સરકારે રસીકરણ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મંગળવારે આ સંદર્ભમાં માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું હતું કે, જો ભારતને આજે કોરોના વાયરસની રસી મળે છે, તો સરકાર પ્રારંભિક તબક્કામાં ઓછામાં ઓછા 3 કરોડ લોકોને રસી આપશે.
આરોગ્ય મંત્રાલયથી જોડાયેલા આ અધિકારીએ જણાવ્યું હતું કે, અમારો આશરે અંદાજ છે કે પ્રથમ તબક્કામાં અમે લગભગ 3 કરોડ લોકોને કોરોના વાયરસની રસી આપીશું. જેમાં 70-80 લાખ ડોકટરો અને લગભગ 2 કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. સરકારે રસી અંગે એક સમિતિની રચના કરી છે, જે હાલમાં તેઓની ઓળખ કરવાનું કામ કરી રહી છે, જેમને પહેલા રસી આપવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય પોલીસ દળ, હોમગાર્ડઝ, સશસ્ત્ર દળ, મહાનગર પાલિકા/પાલિકાનાં કર્મચારીઓ, આશા વર્કર્સ, સફાઇ કામદારો, શિક્ષકો અને ડ્રાઇવરો જેવા 2 કરોડ લોકો શામેલ છે જે કોરોના વાયરસ સામે લડવામાં મોખરે છે.
વળી આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કોરોના વાયરસ અંગેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “આવતા વર્ષે જાન્યુઆરીથી જુલાઈની વચ્ચે, દેશમાં કોરોના વાયરસની રસી ઉપલબ્ધ થઇ શકે છે. જો હાલની રસી પરીક્ષણો સફળ સાબિત થાય છે, તો અમે રસીકરણ પ્રક્રિયા શરૂ કરીશું. રસીકરણ અંગેની નિષ્ણાંત સમિતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારનાં ઇનપુટનાં આધારે યોજના તૈયાર કરી છે.