આણંદ શહેર કોરોના વાયરસની બીજી લહેરમાં બરાબર ઝપટે ચઢ્યું છે અને દરરોજ 35થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જેને લઈને શહેરીજનોમાં એક તરફ ચિંતાનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું છે. ત્યારે બીજી તરફ દિન-પ્રતિદિન વધતી જતી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાને લઈને આરોગ્ય વિભાગ અને વહિવટીતંત્ર પણ વિમાસણમાં મુકાઈ જવા પામ્યું છે. કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તો ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું વેઈટીંગ ચાલી રહ્યું છે. કેટલાક દર્દીઓને તો એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની પ્રથમ લહેરમાં ખંભાત શહેર સૌથી વધુ સંક્રમિત હતુ અને ત્યાં દરરોજ નવાને નવા કેસો નોંધાતા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાની બીજી લહેરમાં આણંદ શહેર સૌથી વધુ સંક્રમિત બનેલું શહેર તરીકે ઉભરી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી જ અહીંયા કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો અને નવાઈની વાત તો એ છે કે એક ઘરમાંથી એકથી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી રહી છે. કોરોનાની આ બીજી લહેર અતિ ઘાતક અને બે ગણી ચેપી હોય સાયલન્ટ કીલર તરીકે કામ કરી રહી છે.
કોરોના સંક્રમિત થયેલા દર્દીઓમાં સૌથી વધુ તકલીફ શ્વાસ લેવાની થઈ રહી છે. એકદમ સ્વસ્થ લાગતો દર્દી પણ કોરોના સંક્રમિત થઈ જાય છે. શરૂના તબક્કામાં તેને બધુ સામાન્ય લાગે પરંતુ જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે જ તેને ખબર પડે કે કોરોનાની ઝપેટે ચઢી ચુક્યો છે. જેથી તેને દાખલ કરીને ઓક્સિજન સપોર્ટ પર મૂકી દેવામાં આવે છે. માટે આણંદ શહેરમાં ઓક્સિજન પર સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આણંદ નગરપાલિકાની સત્તાવાર યાદી અનુસાર ગત ૨૦મી એપ્રિલથી લઈને ૨૭મી એપ્રિલ સુધીમાં જ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઈને કુલ 308 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. ૨૦મી તારીખે સૌથી વધુ 107 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમને વિવિધ હોસ્પિટલો તેમજ હોમ આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
છેલ્લા બે દિવસથી આણંદ શહેરમાં રાત્રી કફર્યૂ ઉપરાંત કેટલાક કડક નિયંત્રણો લાદી દઈને દૂધ, અનાજ, શાકભાજી, ફ્રૂટ સહિતની લારીઓ અને દુકાનો સિવાયની તમામ દુકાનો, જીમ, કોમર્શિયલ શોપીંગ સેન્ટરો, સ્વીમીંગ પુલ, વાણિજ્યિક કોમ્પલેક્ષો, ઓફિસો વગેરે પણ દિવસ દરમ્યાન બંધ કરાવી દીધું છે જેને લઈને આગામી દિવસોમાં આ સંક્રમણ ઘટશે તેમ મનાઈ રહ્યું છે. જો કે જે રીતે સંક્રમણ ફેલાયુ છે તે ઘણુ ઘાતક છે અને શહેરની ખાનગી હોસ્પિટલો સહિત સરકારી હોસ્પિટલો અને કોવિડ સેન્ટરો પણ હવે તો હાઉસફુલ થવા માંડ્યા છે.